Gopal Rai AAP: ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મહત્વપૂર્ણ સંગઠનાત્મક અને વ્યૂહાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ ખાતે યોજાયેલી આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય તેમજ પ્રદેશ સ્તરના નેતાઓએ હાજરી આપી અને આગામી ચૂંટણી માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરી. બેઠકમાં AAPના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી દુર્ગેશ પાઠક, સહપ્રભારી દિનેશ મોહનિયા, સહપ્રભારી વિનય મિશ્રા અને સહપ્રભારી ગૌરવ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા અને નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી સહિત પ્રદેશના અગ્રણીઓ, ફ્રન્ટલ સંગઠનના હોદ્દેદારો તેમજ અન્ય અગ્રણીઓએ બેઠકમાં ભાગ લીધો હતો.
બેઠક દરમિયાન 2027ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ, સંગઠન મજબૂત બનાવવાની યોજના, બૂથ સ્તરે કાર્ય વિસ્તરણ અને જનસંપર્ક અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પાર્ટીએ રાજ્યભરમાં સંગઠનને વધુ સક્રિય બનાવવાના પ્રયાસો તેજ કરવાની દિશામાં માર્ગદર્શન આપ્યું. બેઠક દરમિયાન પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું કે, “વિસાવદર માત્ર શરૂઆત હતી, હવે લક્ષ્ય 2027માં ગુજરાતમાં પરિવર્તન લાવવાનું છે.” તેમણે વધુમાં જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક યુદ્ધનું મેદાન બની ગઈ હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં AAP કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા અને તેમ છતાં કાર્યકર્તાઓએ મેદાનમાં મજબૂત લડત આપી હતી અને ચૂંટણીમાં સારા પરિણામ આવ્યા હતા. ગુજરાતમાં જનતા હવે નવા વિકલ્પ તરફ આગળ વધી રહી છે અને આગામી સમયમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત સંગઠન સાથે લોકો વચ્ચે પહોંચશે અને 2027 AAP મોટું પરિવર્તન લાવશે.




