લાંબા સમય સુધી શ્રીલંકામાં રાજપક્ષે પરિવારનું શાસન હતું. રાજપક્ષે પરિવારનો પ્રભાવ સર્વત્ર દેખાતો હતો. પરંતુ આ ચિત્ર વર્ષ 2022માં બદલાઈ ગયું હતું, જ્યારે દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. બગડતી પરિસ્થિતિને કારણે લોકોમાં આ પરિવાર પ્રત્યે ભારે નારાજગી હતી. ગોટાબાયા રાજપક્ષેએ પણ દબાણ હેઠળ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે શ્રીલંકાની આર્થિક સ્થિતિ ધીમે ધીમે પાટા પર આવી રહી છે. જો કે, આ બધાની વચ્ચે રાજપક્ષે પાર્ટીએ પહેલાથી જ તેના પુનરાગમનની યોજના બનાવી લીધી છે. પાર્ટી આગામી ચૂંટણી દ્વારા રાજકારણમાં પાછા આવવાનો પ્રયાસ કરશે. 

આ મંત્રીઓને સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા

નોંધનીય છે કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે, ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે અને ભૂતપૂર્વ નાણા પ્રધાન બાસિલ રાજપક્ષેને નાણાકીય અને રાજકીય કટોકટી પછી સરકાર વિરોધી વિરોધ દરમિયાન 2022માં સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા.

SLPPની યોજના શું છે?

ભૂતપૂર્વ પ્રધાન એસએમ ચંદ્રસેનાએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજપક્ષેની શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP અથવા પીપલ્સ ફ્રન્ટ) પાર્ટી ઉત્તર મધ્ય ગ્રામીણ શહેર થલાવામાં જાહેર રેલી કરશે. તેમણે કહ્યું કે મહિન્દા રાજપક્ષે રેલીનું ઉદ્ઘાટન કરશે તેમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રપતિ અથવા સંસદીય ચૂંટણી માટે પક્ષને પાયાના સ્તરે તૈયાર કરવાનો છે.

આ મહિનાની શરૂઆતમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણી 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબરની વચ્ચે યોજાશે. SLPPએ હજુ સુધી તેના ઉમેદવારની જાહેરાત કરી નથી જ્યારે બે મુખ્ય વિપક્ષી શિબિરોએ પ્રમુખ પદ માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

મહિન્દાની સરખામણી એક સમયે સિંહાલી બૌદ્ધ રાજાઓ સાથે કરવામાં થતી

મહિન્દા રાજપક્ષેને દેશની બહુમતી સિંહાલી વસ્તીના નેતા માનવામાં આવે છે. શ્રીલંકામાં લગભગ ત્રણ દાયકાના ગૃહયુદ્ધનો અંત લાવવા માટે તેમને યુદ્ધના નાયક તરીકે જોવામાં આવે છે. તેમણે જ 2009માં રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન તમિલ ટાઈગર બળવાખોરોને કચડી નાખ્યા હતા. જો કે તેમના પર નરસંહાર કરવાનો પણ આરોપ હતો, પરંતુ સત્તામાં રહેલા મહિન્દાએ તેનો ઇનકાર કર્યો અને ઉત્તર શ્રીલંકામાં લશ્કરી અભિયાન ચાલુ રાખ્યું. આ વિજય પછી તરત જ વિજય પરેડ અને જાહેર કાર્યક્રમોમાં તેમની સરખામણી સિંહાલી બૌદ્ધ રાજાઓ સાથે કરવામાં આવી હતી.