Kerala vs Gujarat: કેરળના વિસ્ફોટક બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીને રણજી ટ્રોફી 2024-25ની બીજી સેમીફાઈનલમાં ગુજરાત સામે સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
એક તરફ ભારતીય ક્રિકેટ ટીમ 20 ફેબ્રુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે તેની પ્રથમ મેચ રમવા માટે તૈયાર છે, તો બીજી તરફ ભારતીય સ્થાનિક ક્રિકેટમાં રણજી ટ્રોફીની સેમિફાઇનલ મેચો શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં કેરળ અને ગુજરાત વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી સેમિફાઈનલ મેચમાં બીજા દિવસે મોહમ્મદ અઝહરુદ્દીને શાનદાર સદી ફટકારી હતી. અઝહરુદ્દીન બીજા દિવસની રમતના અંતે 149 રનના સ્કોર પર અણનમ પરત ફર્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 30 વર્ષીય અઝહરુદ્દીનની આ બીજી સદી છે. તેણે સાત વર્ષ પછી પ્રથમ ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી. આટલું જ નહીં, પહેલીવાર કેરળના કોઈ બેટ્સમેને રણજી ટ્રોફીની સેમીફાઈનલમાં સદી ફટકારી છે.તમને જણાવી દઈએ કે, અઝહરુદ્દીને નવેમ્બર 2015માં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું.
અઝહરુદ્દીન સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યો છે
આ પહેલા કેરળે બીજા દિવસની શરૂઆત 206/4 રનના સ્કોરથી કરી હતી. કેપ્ટન સચિન બેબી બીજા દિવસે પોતાના સ્કોરમાં એક પણ રન ઉમેરી શક્યો નહોતો અને 69 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી અઝહરુદ્દીને અહમદ ઈમરાન સાથે 40 રનની ભાગીદારી કરી હતી. બીજા દિવસે કેરળનો સ્કોર 212 રન હતો. અઝહરુદ્દીનની શાનદાર સદી બાદ કેરળની ટીમે ગુજરાત સામે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. કેરળની ટીમે 7 વિકેટ ગુમાવીને 418 રન બનાવ્યા છે. હવે કેરળની નજર મોહમ્મદ અઝહરુદ્દીનની મદદથી ત્રીજા દિવસે તેના સ્કોરમાં મહત્તમ રન ઉમેરવા પર રહેશે. તમને જાણીને નવાઈ લાગશે કે કેરળની ટીમ ક્યારેય રણજીમાં સેમીફાઈનલથી આગળ વધી શકી નથી. આવી સ્થિતિમાં તેની નજર ગુજરાતને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવવા પર ટકેલી છે.
મુંબઈની હાલત ખરાબ છે
બીજી સેમિફાઇનલ મેચ વિદર્ભ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ વચ્ચે નાગપુરમાં રમાઈ રહી છે.વિદર્ભે બીજા દિવસે પણ મુંબઈ પર પોતાની પકડ મજબૂત કરી છે. વિદર્ભે તેની પ્રથમ ઇનિંગમાં 383 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં મુંબઈએ બીજા દિવસની રમતના અંતે પ્રથમ દાવમાં સાત વિકેટ ગુમાવીને 188 રન બનાવી લીધા છે.મુંબઈની ટીમ હજુ પણ વિદર્ભના પ્રથમ દાવના સ્કોરથી 195 રન પાછળ છે. મુંબઈનો ઓપનર આકાશ આનંદ 67 રન બનાવીને અણનમ રહ્યો છે. તેનો સાથી બેટ્સમેન તનુષ કોટિયન 5 રન સાથે રમી રહ્યો છે.