Rajkot Game Zone Fire Accident: રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગ અંગે ઊંડાણપૂર્વકની તપાસ માટે રાજ્ય સરકારે તાકીદે, CID ક્રાઇમના ADG સુભાષ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને પાંચ સભ્યોની સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમની (SIT)ની રચના કરી છે. આ ટીમ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગ અંગેનો પ્રાથમિક અહેવાલ આગામી 72 કલાકમાં રાજ્ય સરકારને સુપરત કરશે. જ્યારે તમામ પાસાઓને આવરી લેતો વિગતવાર અહેવાલ 10 દિવસમાં સરકારને સોંપશે.

રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જેને લઇને રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે.

મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. હવે મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવશે ત્યાર બાદ જ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. મળતી માહિતી અનુસાર TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ પકડી લેવામાં આવ્યા છે.