Gujarat Raining And Flood Nws: ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. છેલ્લા 48 કલાકમાં વરસાદ અને પૂરને કારણે રાજ્યભરમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અમદાવાદમાં ગુરુવારે 296 મીમી વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા 100 વર્ષમાં ચોથો સૌથી વધુ એક દિવસીય વરસાદ છે, જેના કારણે શહેરના ઘણા વિસ્તારો અને વસાહતો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા.

20 વર્ષમાં પહેલી વાર આટલો વરસાદ

શહેર કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, “છેલ્લા 20 વર્ષમાં પહેલી વાર અમદાવાદમાં 24 કલાકમાં આટલો ભારે વરસાદ પડ્યો છે.” હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે.

200 થી વધુ લોકોને બચાવ્યા

સેનાના કર્મચારીઓએ રાહત કામગીરીમાં મદદ કરી અને 200 થી વધુ લોકોને બચાવ્યા. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા વૈભવી સંકુલ “સેન્ટોસા પાર્ક્સ” ખાતે, ડૂબી ગયેલા બંગલાઓમાંથી 50 થી વધુ લોકોને બોટ દ્વારા બચાવવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અનેક જગ્યાએ પાણીમાં ચાલીને ગયા. ત્યારબાદ, તેમણે એક બેઠક યોજી અને અધિકારીઓને પૂરના પાણીનો નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો.

વલસાડ અને નવસારીમાં પૂરે વિનાશ વેર્યો

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં વલસાડ અને નવસારીમાં મૃતદેહો તરતા જોવા મળ્યા છે. અધિકારીઓએ નવસારીમાં 15, વલસાડમાં 7, ખેડામાં 4 અને અમરેલી અને સુરતમાં 2-2 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

50 થી વધુ ટ્રેનો રદ

પૂર અને વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતિ ગંભીર છે. બચાવ ટીમો પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહી છે. ગુજરાતમાં રેલ સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે, 50 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.