Porbandar News: ગુજરાતના પોરબંદરમાં તાલીમ દરમિયાન ભારતીય નૌકાદળનું માનવરહિત હવાઈ વાહન (UAV), “દ્રષ્ટિ-10,” ક્રેશ થયું. પોરબંદર નેવલ એર એન્ક્લેવથી ઉડાન ભર્યાના થોડા સમય પછી આ અકસ્માત થયો. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.

પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ક્ષેત્રના દરિયાકાંઠાના શહેર પોરબંદરથી લગભગ 6 કિલોમીટર દૂર ધરમપુર ગામ નજીક ખુલ્લા મેદાનમાં UAV ક્રેશ થયું હતું. તેમણે કહ્યું કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. નૌકાદળની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, “ભારતીય નૌકાદળનું એક UAV ધરમપુર ગામ નજીક ક્રેશ થયું. ઘટનામાં કોઈનું મોત થયું નથી. નૌકાદળના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.” UAV પોરબંદર નેવલ એર એન્ક્લેવથી નિયમિત તાલીમ માટે ઉડાન ભરી હતી અને થોડીવાર પછી ખેતરમાં ક્રેશ થઈ ગઈ.

બુધવારે સાંજે, નૌકાદળે પણ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા અકસ્માતની પુષ્ટિ કરી. નૌકાદળે જણાવ્યું હતું કે યુએવી ‘દ્રષ્ટિ-૧૦’ તાલીમ મિશન પર હતી ત્યારે ક્રેશ થયું હતું. નૌકાદળે જણાવ્યું હતું કે, “નૌકાદળે આજે બપોરે તાલીમ ઉડાન દરમિયાન પોરબંદર એરફિલ્ડ નજીક ક્રુ વગરનું યુએવી ‘દ્રષ્ટિ-૧૦’ ક્રેશ થયું હોવાની પુષ્ટિ કરી છે.”