CM Bhupendra Patel News: રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ-રજુઆતોના ઓનલાઈન નિવારણનો દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતાં મુખ્યમંત્રીનાં સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમનો જૂન-2026નો રાજ્ય સ્વાગત તા.22 જૂન, સોમવારના દિવસે યોજાશે.
રાજ્યમાં તા.23થી 25 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અનુસંધાને જૂન-2026નો રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે તા.22મી જૂન, સોમવારના રોજ યોજવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.
આ રાજ્ય સ્વાગતમાં રજૂઆત કર્તાઓ તા. 22/06/2026ને સોમવારે સવારે 8 વાગ્યા થી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ-2 ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે તા. 22 જૂનના બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે તેમજ આવી રજૂઆતોના નિવારણ-ઉકેલ માટે તંત્રવાહકોનું માર્ગદર્શન કરશે.




