ઉંડી ખેડ કરો જેથી જમીનમાં રહેલ કોશેટા તથા સુષુપ્ત પુખ્ત કીટકોનો સૂર્યતાપ અથવા પરભક્ષીઓથી નાશ થાય.

મગફળીના પાકમાં વાવણી પહેલા અથવા વાવણી સમયે જમીનજન્ય રોગથી પાકને કેવી રીતે બચાવવું ? કેવી રીતે જીવાતનું નિયંત્રણ કરવું તે બાબત ખેડૂતોને ખાસ ધ્યાનમાં રાખવાની રહે છે. ત્યારે ચાલો જાણીએ કે, કેવી રીતે મગફળીના પાકમાં વાવણીના સમયે યોગ્ય પગલા લઈ રોગનું નિયંત્રણ કરી શકાય છે.

ખેડૂત મિત્રોએ રોગ નિયંત્રણ માટે ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ વાપરવું, સંપૂર્ણ સડી ગયેલ સેન્દ્રીય ખાતર વાપરવા. જમીનજ્ન્ય રોગોના નિયંત્રણ માટે શક્ય હોય તો વહેલું વાવેતર કરવું. ઉનાળામાં ઉંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલ કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત કીટકો(ઢાલિયા) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરભક્ષીઓથી તેનો નાશ થાય. થડનો કોહવારો/ડોડવાના કોહવારાથી રક્ષણ મેળવવા ટ્રાયકોડર્મા ફૂગ આધારીત પાવડર ૨.૫ કિ.ગ્રા.ને ૩૦૦ થી ૫૦૦ કિલો એરંડીના ખોડ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું.

શરૂઆતનો સારો વરસાદ થયા બાદ ખેતરના શેઢા પાળા પરના બધા જ ઝાડો ઉપર કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. દવાના (૧૫ લીટર પાણીમાં ૨0 મી.લી. દવા) મિશ્રણનો છંટકાવ કરવો જેથી ઝાડ ઉપર એકઠાં થયેલાં ઢાલિયાનો નાશ થાય. આ કામગીરી ૩ થી ૪ દિવસમાં જ પૂર્ણ કરવી. ધૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમિયાન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગાં કરી તેનો નાશ કરવો. મુંડાના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૧૫ વેટેબલ પાવડર ન્યુનતમ (૨×૧૦૬સીએફયુ/ગ્રામ) વાવેતર પહેલા એરંડીના ખોળ (૩૦૦કિ.ગ્રા/હે) સાથે જમીનમાં આપવું. મુંડાના અસરકારક નિયંત્રણ માટે વાવેતર પહેલા ચાસમાં દીવેલાનો ખોળ ૫૦૦ કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું. પાક વાવતી વખતે ચાસમાં કાર્બોફયુરાન ૩જી ૩૩ કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું જરૂરી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ બીજ માવજત માટે ખાસ ભલામણ કરવામાં આવી છે. જે અનુસાર મગફળીમાં ઉગસૂકના રોગના નિયંત્રણ માટે બીજને થાયરમ ૩ ગ્રામ + સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ (ટાલ્ક બેઈઝ) પાંચ ગ્રામ અથવા ફક્ત થાયરમ/ કપ્તાન/ મેન્કોઝેબ ૩-૪ ગ્રામ અથવા ફક્ત સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ પાંચ ગ્રામ પ્રતિ કિલો બીજ અથવા ટેબ્યુકોનેઝોલ ૧.૨૫ ગ્રામ / કિગ્રા. પ્રમાણે બીજ માવજત આપવી. મગફળીમાં મૂળનાં ગંઠવા કૃમિના નિયંત્રણ માટે બીજને પેસીલોમાયસીસ લીલાસીનસ (ટાલ્ક બેઈઝ) ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી.

સફેદ ઘૈણ/મૂંડાના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. ૨૫ મી.લી. અથવા ફીપ્રોનીલ ૪૦% + ઈમીડાકલોપ્રીડ ૪૦% ડબલ્યુજી ૧-૫ ગ્રામ અથવા કલોથીયાનીડીન ૫૦% ડબલ્યુડીજી ૪ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ દીઠ બીજને પટ આપી, બે ત્રણ કલાક બીજને છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.

વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરી શકાય છે.