ચક્રવાત રેમલ અપડેટ્સ: વાવાઝોડાના આગમન સમયે, દરિયામાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે જે દરિયાકાંઠાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારોને ડૂબી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન રવિવાર સાંજ સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને 26 મેની રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરી શકે છે. આ તોફાનને ‘રેમાલ’ કહેવામાં આવી રહ્યું છે. રેમલ, જેનો અર્થ અરબી ભાષામાં રેતી થાય છે. ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાત માટે પ્રાદેશિક નામકરણ પદ્ધતિ અપનાવીને ઓમાન દ્વારા આ નામ આપવામાં આવ્યું હતું. આ સિઝનમાં બંગાળની ખાડીમાં પ્રથમ પ્રી-મોન્સુન ચક્રવાત છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 110-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કરી શકે છે. તે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ઉત્તરપૂર્વ ભારતના ભાગોમાં 27-28 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે.

વાવાઝોડાના આગમન સમયે, દરિયામાં 1.5 થી 2 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે, જે દરિયાકાંઠાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારોને ડૂબી શકે છે. હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે કે તેઓ 27 મેની સવાર સુધી બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં દરિયામાં ન જાય. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓ (દક્ષિણ અને ઉત્તર 24 પરગણા) માટે 26 અને 27 મેના રોજ રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

બંગાળના દરિયાકાંઠે તોફાનનો અવાજ, ગરમીથી પરેશાન

હવામાનશાસ્ત્રી સોમનાથ દત્તાએ ANI સાથે વાત કરતા જણાવ્યું હતું કે વાવાઝોડું આગામી 6 કલાકમાં દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે, દરિયાકાંઠે પવનની ઝડપ વધુ હશે. વરસાદ પણ માત્ર દરિયાકિનારા પર જ ભારે પડશે. પવનની મહત્તમ ઝડપ 135 કિમી પ્રતિ કલાકની રહેશે.

કોલકાતા શહેરમાં વરસાદ શરૂ, ચક્રવાત રેમલની અસર શરૂ, દરિયાકાંઠે ભારે વરસાદ

ચક્રવાત રેમલની અસર પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં શરૂ થઈ ગઈ છે. કોલકાતામાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને ઘણી જગ્યાએ હળવો વરસાદ થઈ રહ્યો છે. બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. પવનની ગતિ વધી છે.

દરિયામાં માછીમારો નથી, અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએઃ NDRF

એનડીઆરએફ ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર ગુરમિન્દર સિંઘે ANI સાથે વાત કરતા કહ્યું કે રેમાલ આજે સાંજ સુધીમાં દરિયાકાંઠે અથડાશે તેવી અપેક્ષા છે અને અમારી ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. પવન અને વરસાદ જોરદાર રહેશે પરંતુ તે અમ્ફાન જેવા વાવાઝોડા જેટલો નહીં હોય. અમને વિશ્વાસ છે કેઅમે પરિસ્થિતિનો વધુ સારી રીતે સામનો કરીશું. દરિયામાં માછીમારો નથી અને કિનારે રહેતા લોકો પણ સલામત સ્થળે પહોંચી ગયા છે.

કોલકાતા એરપોર્ટ પર મુસાફરોની ભીડ, 21 કલાક માટે હવાઈ સેવા બંધ

ચક્રવાત રેમાલને કારણે કોલકાતા એરપોર્ટથી 21 કલાક માટે હવાઈ મુસાફરી બંધ કરવામાં આવી હતી, જેના કારણે એરપોર્ટ પર મુસાફરોની ભીડ વધી રહી છે.