542 લોકસભા સીટોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવશે. આગામી બે કલાકમાં નવી સરકારની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ જશે. મંદિરોથી લઈને પાર્ટી ઓફિસ સુધી હવન-પૂજા કરવામાં આવી રહ્યા છે. લાડુથી લઈને પુરી-શાકની તૈયારીઓ થઈ રહી છે. ભાજપ કાર્યાલયમાં પુરી અને બુંદીનાં લાડવા બનાવવામાં આવી રહ્યા છે.

બનાસકાંઠાથી કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. મતગણતરી કેન્દ્ર પર જતા પહેલા ગેનીબેન પાતાળેશ્વર મહાદેવનાં દર્શન કર્યા હતા. ગેનીબેને જણાવ્યું હતું કે, દેશમાં I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે. તેમજ ભાજપની જેમ 5 લાખની લીડનાં દાવા નથી કરતા પણ બનાસકાંઠાની જનતા અમારી છે. તેમજ સાબરકાંઠા ભાજપનાં ઉમેદવારે શામળાજીમાં દર્શન કર્યા હતા. શોભનાબેન બારૈયાએ ભગવાન શામળીયાનાં આશીર્વાદ લીધા હતા. સાબરકાંઠામાં ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ત્રીજી વખતે કેન્દ્રમાં મોદી સરકાર બનવાનો શોભનાબેન બારૈયાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

16 માર્ચે ચૂંટણી પંચે 7 તબક્કામાં 543 લોકસભા બેઠકો માટે મતદાનની તારીખોની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીની વારાણસી સહિત 57 બેઠકો પર 19 એપ્રિલથી મતદાન શરૂ થયું હતું, જે 1 જૂને સમાપ્ત થયું હતું. 44 દિવસની આ ચૂંટણી 1952 પછી સૌથી લાંબી હતી. તે 1952માં 4 મહિના સુધી ચાલી હતી. અગાઉ તે સામાન્ય રીતે 30થી 40 દિવસમાં સમાપ્ત થતી હતી.