Chandipura virus Gujarat News: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (CHPV)ના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને રાજ્ય આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યમાં આ ચોમાસામાં અત્યાર સુધી 22 બાળકોના મોત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સંયુક્ત આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ (NJORT) ગુજરાતમાં તૈનાત કરવામાં આવી છે. સાથે જ પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓપરેશનલ સેન્ટર (PHEOC) પણ સક્રિય કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં વૈજ્ઞાનિક તપાસ તેજ

કેન્દ્ર સરકારની ટીમો ગુજરાતના આરોગ્ય વિભાગ સાથે મળીને વાયરસના સંક્રમણ, ફેલાવાના કારણો અને નિયંત્રણ માટે કામગીરી કરી રહી છે. ICMR, NCDC અને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) સહિતની સંસ્થાઓ વાયરસના સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ અને વૈજ્ઞાનિક અભ્યાસમાં જોડાઈ છે.

35 કેસ પોઝિટિવ, 184 શંકાસ્પદ દર્દીઓની તપાસ

ગુજરાતના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 184 શંકાસ્પદ કેસોમાંથી 35 નમૂનાઓ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. સંક્રમણ માત્ર એક વિસ્તાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી કેસ નોંધાતા આરોગ્ય વિભાગે સર્વેલન્સ વધુ સઘન બનાવ્યું છે.

માસ સેરોસર્વે અને વેક્ટર સર્વેલન્સ શરૂ

વાયરસ કેટલા પ્રમાણમાં ફેલાયો છે અને તે કેવી રીતે ફેલાઈ રહ્યો છે તેની ચોક્કસ માહિતી મેળવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સમુદાય આધારિત સેરોસર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. સાથે જ મચ્છર, સેન્ડફ્લાય, ટિક અને અન્ય જીવાતોના નમૂનાઓ એકત્ર કરીને તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાણીઓના નમૂનાઓની પણ તપાસ

વાયરસ ઘરેલું પ્રાણીઓમાં ફેલાયો છે કે નહીં તેની તપાસ માટે ગાય, ભેંસ અને બકરાના લોહી તેમજ દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા છે. નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે કે પ્રાણીઓ વાયરસના ભંડાર તરીકે કામ કરે છે કે નહીં.

આરોગ્ય વિભાગની અપીલ

આરોગ્ય વિભાગે લોકોને બાળકોમાં તાવ, ઉલ્ટી, બેભાન થવું અથવા મગજ સંબંધિત લક્ષણો દેખાય તો તરત જ હોસ્પિટલમાં સારવાર લેવા અપીલ કરી છે. સાથે જ મચ્છર અને જીવાતોથી બચવા સ્વચ્છતા જાળવવા તથા આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે.