Rajkot: નવરાત્રિના પર્વની શરૂઆત હવે ગણતરીના દિવસોમાં થવાની છે. ગુજરાતભરમાં શેરી ગરબા, સોસાયટીઓ તેમજ મોટા પાર્ટી પ્લોટોમાં તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. એક તરફ માતાજીના ભક્તો ગરબાના રંગમાં રંગાવા આતુર છે, તો બીજી તરફ તહેવારને લઈને સુરક્ષા અને સામાજિક સંવાદિતાનો મુદ્દો પણ ચર્ચામાં આવી ગયો છે. આ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે જૂનાગઢના મહંત તથા શ્રી પંચ દશનામ જુના અખાડા કાશીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુ.
ઈન્દ્રભારતી બાપુએ તાજેતરમાં જ રાજકોટમાં આયોજિત ગણપતિ મહોત્સવ દરમિયાન નવરાત્રિ પ્રસંગે વિધર્મીઓની એન્ટ્રી અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “નવરાત્રિમાં દાંડિયા ઓછા રમજો તે ચાલશે, પરંતુ દાંડિયા રમતી વખતે આપણી બહેનો અને દીકરીઓ કેવી રીતે સુરક્ષિત રહે તે સૌથી મોટું મહત્વ છે.”
વિધર્મીઓ ચાંદલા લગાવીને ગરબા મેદાનમાં પ્રવેશી શકે છે : દાવો
મહંત ઈન્દ્રભારતી બાપુએ દાવો કર્યો કે, નવરાત્રિના ગરબા આયોજનોમાં વિધર્મીઓ વિવિધ રૂપ ધારણ કરીને પ્રવેશવાનો પ્રયાસ કરી શકે છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે, આવા લોકો માથા પર ચાંદલો લગાવી શકે છે, હાથ પર ધાર્મિક ટેટુ બનાવી શકે છે અને ક્યારેક તો નકલી આધારકાર્ડ બનાવીને પણ ગરબા મેદાનમાં પ્રવેશી શકે છે. આ પ્રકારની ઘટનાઓને કારણે તહેવારના પવિત્ર માહોલમાં વિક્ષેપ સર્જાઈ શકે છે અને અનિચ્છનીય પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. તેથી, આવા તત્ત્વોને નવરાત્રિના આયોજનોમાંથી દૂર રાખવાની માંગ તેમણે કરી છે.
દીકરીઓની સુરક્ષા પર ભાર
બાપુએ પોતાના સંબોધનમાં ખાસ કરીને દીકરીઓની સુરક્ષા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, “પહેલાં લોકો દીકરીઓ માટે માથું દઈ દેતા હતા, આજે એવી સ્થિતિ નથી. આજે ફક્ત દીકરીઓ પર નજર રાખવી અને તેમનું ધ્યાન રાખવું એટલું જ મહત્વનું છે. છતાં જો જરૂર પડે તો દીકરીની રક્ષા માટે માથું પણ આપી દેવાય એમાં કોઈ વાંધો નથી.”
સોશિયલ મીડિયામાં ચર્ચા
તેમણે આગળ ઉમેર્યું કે, નવરાત્રિની અંદર ભક્તોએ માત્ર દાંડિયા રમીને આનંદ મનાવવો એ પૂરતું નથી, પણ પોતાના પરિવારની બહેનો-દીકરીઓ જ્યારે દાંડિયા રમે ત્યારે તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવી એ દરેકની ફરજ છે.
ઈન્દ્રભારતી બાપુનું આ નિવેદન બહાર આવતા જ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો તેમના નિવેદનને સમર્થન આપતાં કહી રહ્યા છે કે તહેવારોમાં અશાંતિ ફેલાવા જેવા તત્ત્વોનો પ્રવેશ રોકવો ખૂબ જ જરૂરી છે, જ્યારે કેટલાક લોકો માને છે કે આવા નિવેદનો સામાજિક સમરસતાને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે તહેવારની સાથે સુરક્ષા અને સામાજિક સંવાદિતાનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.
તંત્ર માટે પડકાર
દર વર્ષે નવરાત્રિ દરમિયાન લાખો લોકો ગરબાના આયોજનોમાં ઉમટી પડે છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં મોટી સંખ્યામાં લોકો રાત્રે મેદાનોમાં ભેગા થાય છે. આટલી મોટી ભીડ વચ્ચે શિસ્ત અને સુરક્ષા જાળવવી પોલીસ તેમજ સ્થાનિક તંત્ર માટે મોટો પડકાર બની રહે છે. મહંત ઈન્દ્રભારતી બાપુના નિવેદન પછી તંત્ર પર વધુ દબાણ આવ્યું છે કે, તેઓ કેવી રીતે આવા તત્ત્વો પર નજર રાખશે અને ભક્તોને નિરાંતે તહેવાર માણવા માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરશે.
તહેવારની પવિત્રતા જાળવવાનો સંદેશ
ઈન્દ્રભારતી બાપુના શબ્દોમાં તહેવારની પવિત્રતા જાળવવાનો સંદેશ છુપાયેલો છે. નવરાત્રિ માત્ર દાંડિયા-ગરબા રમવાનો પ્રસંગ નથી, પરંતુ તે માતાજીની ઉપાસનાનો સમય છે. આ તહેવાર દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો મહિમા ઉજવાય છે. તેથી, તહેવારમાં કોઈપણ પ્રકારનો ભંગ કે અવાંછિત પ્રવેશ ન થાય તે માટે સતર્ક રહેવું એ સૌની ફરજ છે.
આ પણ વાંચો
- Weather update: મધ્ય ગુજરાતમાં મેઘરાજનું ધમાકેદાર આગમન, બાલાસિનોરમાં 6.5 ઇંચ વરસાદ
- Vadodara Crime: રાત્રે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ માસૂમની કરી હત્યા, પછી મૃતદેહને નહેરમાં ફેંકી દીધો
- Ahmedabad: શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત, બેદરકારીનો આરોપ લગાવતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો
- Chhota Udaipur: પાવીજેતપુરના સિહોદ પાસે હળવા વરસાદને કારણે રૂટ બદલાયો, ભારે વાહનોની અવરજવર બંધ!
- Pink Tax: મહિલાઓ માટે મોટી રાહત, આ દેશે ‘પિંક ટેક્સ’ નાબૂદ કર્યો, સેનિટરી પેડ્સ અને ગર્ભનિરોધક કરમુક્ત રહેશે




