Yuvrajsinh Jadeja News: ટેલિગ્રામ પર “Re-NEET 2026” પેપર લીકના નામે ચાલી રહેલા કરોડોના સાયબર ફ્રોડ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલી છેતરપિંડી મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી.યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કેટલીક ભેદી ટેલિગ્રામ ચેનલો દ્વારા “Re-NEET 2026” નું પેપર લીક થઈ ગયું હોવાના દાવા કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. “RENEET LEAKER” સહિતની શંકાસ્પદ ચેનલો દ્વારા અત્યાર સુધીમાં આશરે 7901 લોકો પાસેથી ₹5,74,40,243 જેટલી રકમ વસૂલવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે “Raghav Sir” નામનો વ્યક્તિ આ સમગ્ર નેટવર્ક ચલાવતો હોવાનો શંકા છે અને ઉપલબ્ધ ઓડિયો રેકોર્ડિંગમાં તે અગાઉ પણ પેપર લીક કરાવ્યાની કબૂલાત કરતો સંભળાય છે. એટલું જ નહીં, એક ધારાસભ્યની સંડોવણી હોવાનો અને “આ આખું સિસ્ટમ છે, કશું નહીં થાય” જેવા દાવા પણ આ ઓડિયો રેકોર્ડિંગમાં કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. યુવરાજસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે પોતાના ગુનાને છુપાવવા માટે આ ટેલિગ્રામ ગ્રુપોમાં “અનામત ન હોત તો પેપર લીક કરવાની જરૂર ન પડત” જેવી ભાષાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓમાં જાતિ આધારિત દ્વેષ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે @RENEETLEAKER, @RENEET_LEAKER, @RENEET_LEAKERS, @RENEET_PAPERLEAK, @NEET_HANDLER, @WASSPHERE અને @RAREOB જેવી ચેનલો શંકાના ઘેરામાં હોવાનું જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓ-વાલીઓને આવા લેભાગુ તત્વોથી સાવચેત રહેવાની અપીલ કરી હતી.

યુવરાજસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી કે આ સમગ્ર કૌભાંડના સ્ક્રીનશોટ, વીડિયો, ઓડિયો રેકોર્ડિંગ અને નાણાકીય વ્યવહારો સહિતના સચોટ ડિજિટલ પુરાવાઓ ટૂંક સમયમાં મીડિયા અને પ્રશાસન સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમણે સરકાર અને તપાસ એજન્સીઓ પાસે સમગ્ર ટેલિગ્રામ નેટવર્ક અને સંબંધિત ચેનલોની સાયબર ફોરેન્સિક તપાસ કરવાની, તમામ ચેનલ સંચાલકોના પેમેન્ટ ગેટવે, યુપીઆઈ આઈડી, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અને બેંક ટ્રેલ શોધી ખાતાઓ સીઝ કરવાની માંગ કરી હતી. સાથે જ “Raghav Sir” સહિત તમામ સંડોવાયેલા એજન્ટોની ઓળખ જાહેર કરી તાત્કાલિક ધરપકડ કરવાની, ઉપલબ્ધ ઓડિયો રેકોર્ડિંગની ફોરેન્સિક ચકાસણી કરી તેમાં સંડોવાયેલા રાજકીય માથાઓને બહાર લાવવાની અને જો કોઈ ધારાસભ્ય અથવા જાહેર પ્રતિનિધિ સંડોવાયેલ હોય તો નિષ્પક્ષ વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસ કરવાની માંગ પણ ઉઠાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનારાઓ સામે ભારતીય દંડ સંહિતા, માહિતી પ્રૌદ્યોગિકી કાયદો અને જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ કાયદા હેઠળ કડક કાર્યવાહી થવી જોઈએ તેમજ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તમામ શંકાસ્પદ ટેલિગ્રામ ચેનલોને તાત્કાલિક બંધ અથવા સસ્પેન્ડ કરવી જોઈએ. વિદ્યાર્થીઓના ભવિષ્યને બજાર બનાવી નફાખોરી કરનાર પેપર લીક માફિયા સામે હવે કડક કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત હોવાનું યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.