રાજકોટ અગ્નિકાંડના ત્રણેય આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને નીતિન જૈનના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ત્રણમાંથી યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ TRP ગેમ ઝોનમાં પાર્ટનર છે.

રાજકોટમાં ગેમ ઝોનમાં 28 લોકોની જિંદગી હોમાઈ ગઈ. આ ભયંકર દુર્ઘટનાને લઇને અનેક ખુલાસા સામે આવ્યાં છે. આ ગેમઝોનમાં જનારને એક ફોર્મ ભરાવીને તેમાં સહી કરવામાં આવતી હતી. આ ફોર્મ દ્વારા જાનહાનિ કે પ્રોપર્ટીના નુકસાનની જવાબદારી ગ્રાહક પર જ ઢોળવામા આવી છે. TRP ગેમઝોનની શરત હતી કે, રમો કે મરો જવાબદારી તમારી ને માત્ર તમારી રહેશે. ગો કાર્ટ, પેઈન્ટબોલ રમતા મૃત્યુ થાય કે પ્રોપર્ટીને નુકસાન થાય તો પણ જવાબદારી ગ્રાહકની, આ પ્રકારની બાહેંધરી લેવાતી હતી.

રાજકોટમાં 48 કલાક બાદ પણ 28માંથી 13 મૃતદેહ ઓળખી શકાયા છે. 13 પૈકી 8 મૃતદેહ અંતિમક્રિયા માટે તેમના સગા સબંધીઓને સોંપાયા છે. છેલ્લા 4 દિવસથી રંગીલું રાજકોટ શોકમગ્ન છે. શહેરમાં અનેક બજારો બંધ રહ્યા હતા. વકીલોએ પણ કામથી અળગા રહીને શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સામે પગલા લેવાના શરૂ કરવામં આવ્યા છે.રાજકોટ મહાપાલિકાના કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવાયા છે. તેમજ પોલીસ કમિશનર વિધી ચૌધરી અને ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈને પણ ખસેડાયા છે. ત્રણેય IPS અધિકારીઓની પણ બદલીના આદેશ ટૂક સમયમાં મળશે.

અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે સરકાર અને સ્થાનિક ઓથોરિટીની ઝાટકણી કાઢી છે. કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે, દુર્ઘટના બાદ હવે રાજ્યની મશીનરી પર અમને નથી ભરોસો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઈકોર્ટનો વેધક સવાલ, શું તમે આંધળા થઈ ગયા હતા, તમે શું ઉંઘતા હતા, કોર્ટ કહ્યું કે, દુર્ઘટના પાછળ રાજકોટ મનપા અને મ્યુનિસિપલ કમિશનરની સીધી જવાબદારી છે. જે સ્પષ્ટ છે.રાજકોટ મહાપાલિકાના સત્તાધીશોને ઝાટકતા હાઈકોર્ટે કહ્યું કે, TRP ગેમિંગ ઝોને ફાયર NOC કે જરૂરી મંજૂરી મેળવી ન હતી તો વર્ષ 2021થી 2024 સુધી તમે કર્યું શું… તમારા અધિકારીઓએ કેમ ચેકિંગ કે તપાસ ન કરી… દુર્ઘટના સુધી કેમ ન હતી ફાયર NOC, સ્ટ્રકચર સ્ટેબિલીટી કે અન્ય કોઈ મંજૂરી?