Mangrol: જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક- આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરીત પુલ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સુચનાથી સમગ્ર રાજ્યમાં જજરી ફૂલોનું નિરીક્ષણ અને રોડ રસ્તાની રીપેરીંગની કામગીરી પુરાજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે  બંધ કરાવવામાં આવ્યા છે.  આ પુલોમાં  સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવા ના બનાવ અંગે જુનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરીત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પૂલ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન પુલનો સ્લેપ નો એક મોટો ભાગ નીચે પડ્યો હતો. જેમાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી, તેવી તેઓએ સ્પષ્ટતા કરી છે.

 કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા છે.

કલેકટર શ્રી એ જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરીત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ પુલ નું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.