આરોગ્ય મંત્રી Rushikesh Patel આવતી કાલે તા. ૨૭ ડિસેમ્બર થી તા. ૨૯ ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસે જવાના છે.આ ત્રિદિવસીય પ્રવાસમાં મંત્રી શ્રી ભાવનગર, જુનાગઢ , રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત કરશે.
વિગતે પ્રવાસ જોઇએ તો મંત્રી ઋષિકેશ પટેલ તા. ૨૭ મી ના રોજ ભાવનગર ખાતે વડાપ્રધાનના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ, ભાવનગર સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે.
અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર ભાવનગર હોસ્પિટલમાં ચાલી રહેલ સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના નિર્માણ કાર્યના વિવિધ પ્રોજેક્ટની સમગ્રતયા સમીક્ષા કરશે.તા. ૨૮ ડિસેમ્બરના રોજ જુનાગઢ અને રાજકોટ હોસ્પિટલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ , સ્થાનિક સમસ્યાઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, વિવિધ નાગરિકો તરફથી મળતી રજૂઆત અને ફરિયાદ સંબંધિત બેઠક કરીને વિગતવાર આ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરશે.
આ દરમિયાન મંત્રી હોસ્પિટલની મુલાકાત લઇને ત્યાની પરિસ્થિતિ , મુખ્ય જરૂરિયાતો , આગામી ડેવલપમેન્ટ પ્લાનની પણ માહિતી મેળવશે.તા. ૨૯ ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ જામનગર ખાતે આયોજીત ઉમિયા માતાજી મંદિર સિદસરના શતાબ્દી મહોત્વસ-૨૦૨૪માં પણ ઉપસ્થિત રહેશે.
……………