Gujarat Weather News: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મહીસાગરના ગોધરામાં સૌથી વધુ 2.30 ઈંચ, જ્યારે નવસારીના ખેરગામમાં 1.54 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય ચાર તાલુકામાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

મંગળવારે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 55 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન મહીસાગરના બાલાસિનોર અને ગોધરા વિસ્તારમાં આશરે દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણ ઠંડુ બન્યું છે અને ખેડૂતોમાં પણ રાહત જોવા મળી રહી છે.

13 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે રાજ્યના 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને આશરે 41 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનના ઝાપટા ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે.

અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદથી પાણી ભરાયા

અમદાવાદ શહેરમાં વહેલી સવારે માત્ર બે કલાકમાં ગાજવીજ સાથે આશરે એક ઈંચ વરસાદ નોંધાયો હતો. પૂર્વ અમદાવાદના કઠવાડા, નિકોલ, ઓઢવ અને હંસપુરા વિસ્તારમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું. ભારે વરસાદને કારણે સોલા, એસ.જી. હાઈવે અને નિકોલ વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી હતી, જેના કારણે વાહનચાલકોએ હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું.

સરસપુર, ઓઢવ અને નિકોલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. એસ.જી. હાઈવે પર હાઈકોર્ટ ઓવરબ્રિજ નજીક મોટો ભૂવો પડતાં AMC દ્વારા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. ગાંધીનગર અને કલોલમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

મહીસાગર સહિતના વિસ્તારોમાં મેઘમહેર

મહીસાગર જિલ્લાના લુણાવાડા, વીરપુર અને બાલાસિનોરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડતાં જનજીવન પર અસર થઈ છે. કોઠંબાના રાબડીયા ગામે કાચું મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે.

બીજી તરફ વાવ-થરાદ, અમરેલી અને છોટાઉદેપુર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ પડતાં સુકાઈ રહેલા ખરીફ પાકને રાહત મળી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 13 ઓગસ્ટ સુધી અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં વધુ વરસાદની શક્યતા છે.

14 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા વચ્ચે 17થી 19 ઓગસ્ટ અને 22-23 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટાંનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, 31 ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે