અમદાવાદમાં થલતેજ પાસે સાંદીપની સોસાયટી નજીક નબીરાએ પૂર ઝડપે તેમજ ગફલતભરી રીતે કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. સગીર યુવકો દ્વારા પુર ઝડપે ગાડી હંકારી નિર્દોષ લોકોનાં જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે સગીરાને ટક્કર મારતા તેને ગંભીર ઈજાઓ થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

થલતેજ ખાતે રહેતા 16 વર્ષીય સગીરા સાંજનાં સુમારે સોસાયટીમાંથી બહાર આવી રહી હતી. તે દરમ્યાન 17 વર્ષનો સગીર ફોર્ચ્યુનર ગાડી લઈને પુરપાટ આવી રહ્યો હતો. તે દરમ્યાન સગીરાને ટક્કર મારી હતી. સગીરાને ટક્કર વાગતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ અકસ્માત બાબતે એન ડિવીઝન ટ્રાફિક પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તેમજ પોલીસે કાર ચાલક સગીરની અટકાયત કરી છે. આ સમગ્ર બાબતે સગીરાની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતમાં ભોગ બનનાર સગીરાની હાલત હાલ ગંભીર છે.

આ બાબતે એન ડીવીઝન પીઆઈ કે.પી. સાગઠીયાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ જે સગીર યુવક ગાડી ચલાવતો હતો. તે ગાડી તેના ભાઈના નામે છે. તેમજ આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.