Gopal Italia News: સુરેન્દ્રનગરના કોંઢ ગામ ખાતે સરકારના અત્યાચારથી પીડિત ખેડૂતોની AAP ધારાસભ્ય Gopal Italiaએ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ મીડિયા સમક્ષ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે લાંબા સમયથી ખેડૂતોનું જે આંદોલન ચાલે છે, એ મુદ્દે સ્થળ પર આવી ખેડૂતોની અને ખેતરનીને મેં મુલાકાત લીધી. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જેમકે દક્ષિણ ગુજરાતના નવસારી, ભરૂચ, અંકલેશ્વર, વડોદરાના કેટલાક વિસ્તારમાં, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને મોરબી તથા સુરેન્દ્રનગર જિલ્લાઓમાં વીજળીના ટ્રાન્સમિશનની લાઈનોના નામે ભાડેથી પોલીસ લાવીને કંપનીઓ દ્વારા જે દાદાગીરી થઈ રહી છે, તે બાબતે આજે મેં ખેડૂતો સાથે મુલાકાત કરી. ફેબ્રુઆરી મહિનાના વિધાનસભાના બજેટ સત્રમાં મેં મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી અને અન્ય આગેવાનોને વિનંતી કરી હતી કે આ મુદ્દે એક કાયદો બનાવવો જોઈએ કે જેમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે અને ખેડૂતની જમીનમાં જે થાંભલો આવે છે, તેને લઈને ભવિષ્યમાં પણ કોઈ સમસ્યા ન એવા પ્રકારના જો નિયમો બનાવીએ, તો કંપનીઓ અને ખેડૂતો વચ્ચેનું ઘર્ષણ ટાળી શકાય એમ છે. પરંતુ સરકારને આમાં કોઈ રસ નથી.
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Gopal Italiaએ જણાવ્યું હતું કે, હું કોંઢ ગામના તમામ સમાજના સૌ ખેડૂતોને હું અભિનંદન આપવા માંગુ છું કારણ કે તેમને ખૂબ જ સારી એકતા બતાવી અને ખૂબ સારી લડત ચલાવી છે અને આખા ગુજરાતના ખેડૂતોનું ધ્યાન ખેંચાય એવા પ્રકારની તાકાત તેમણે બતાવી છે. આ લડતમાં મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા છે. આ કોંઢ ગામમાં એક પણ પૈસાનું વળતર ખેડૂતોને ચૂકવ્યા વગર 80 બાય 80ના મોટા મોટા થાંભલા નાખવાનું કામ શરૂ કર્યું છે, 20 ફૂટ ઊંડા ખાડા ખોદવાનું શરૂ કરવામાં આવ્યું છે અને અનેક 4-5 વીઘાના ખેતરોમાં તો કંઈ બચે એમ નથી. આખા કોંઢ ગામની જમીન ખૂબ જ ફળદ્રુપ અને ઉપજાવ છે, પણ કાગળ પર તેને બિનપિયત જાહેર કરીને દાદાગીરી સાથે ખેતરોમાં થાંભલા નાખવાનું કામ થઈ રહ્યું છે અને એની સામે હું ખેડૂતના દીકરા તરીકે આ લડતમાં જોડાયો છું. ભવિષ્યમાં ગ્રામજનોની અને ખેડૂતોની લાગણી અને માંગણી અનુસાર સહયોગ આપવાની બાંહેધરી આપું છું. ખેડૂતોના અને ખેતીના વિષયમાં હર હંમેશ ખેડૂતના દિકરા તરીકે તેમનો સાથ આપવા માટે બંધાયેલા છીએ.




