Ahmedabad: ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા પછી હવે વાલીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘણા વાલીઓ પોતાના સંતાનોનું પ્રવેશ રદ કરાવી અન્ય સ્કૂલોમાં પ્રવેશ માટે દોડી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, અનેક વાલીઓએ બીજી સ્કૂલોનો સંપર્ક કરી પ્રવેશ માટે પૂછપરછ પણ શરૂ કરી દીધી છે.

સ્કૂલ અને વિસ્તારમાં ડરનો માહોલ

જાહેરમાં થયેલી હત્યાની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. સ્કૂલ તેમજ આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાયું છે. અગાઉ પણ આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ છરી લાવતા અને મારામારી-વિવાદની ઘટનાઓ બનતી રહી છે. તાજેતરની ઘટનાએ વાલીઓને તેમના બાળકોને અહીંથી દૂર લઈ જવાની ફરજ પાડી છે.

વાલીઓની મુશ્કેલીમાં વધારો
અમદાવાદ શહેર ડીઈઓએ જણાવ્યું કે આસપાસની સ્કૂલોમાં પ્રવેશ માટે અનેક ફોન આવ્યા છે. ઘણા વાલીઓ સેવન્થ ડે સ્કૂલમાંથી પોતાના બાળકોનું પ્રવેશ રદ કરી નવી સ્કૂલમાં મોકલવા માંગે છે. જોકે, આઇસીએસઈ બોર્ડ ધરાવતી સ્કૂલનો અભાવ હોવાથી ટ્રાન્સફર કરાવવું મુશ્કેલ બની શકે છે. ઘટનાના કારણે ચાર દિવસથી ઓનલાઈન ક્લાસ પણ થઈ શક્યા નથી અને ઓફલાઈન શિક્ષણ ક્યારે શરૂ થશે તે અસ્પષ્ટ છે.

ડીઈઓની મદદની ખાતરી

શહેરના ડીઈઓએ વાલીઓને એલસી આપવા તેમજ અન્ય સ્કૂલોમાં પ્રવેશ પ્રક્રિયામાં સહાય કરવા પગલાં ભરવાની વાત કરી છે. આમ, શહેરમાં આ હત્યાકાંડની શહેરભરમાં ઘેરી અસર જોવા મળી રહી છે. મૃતકના પરિવાર સહિત સમાજના લોકો ન્યાયની માગ કરી રહ્યાં છે, ત્યારે જોવાનું રહેશે તંત્ર આ મામલે શું પગલાં લે છે.

વિશ્વ હિંદુ પરિષદનું અલ્ટિમેટમ

વિદ્યાર્થી નયનની હત્યા બાદ યોજાયેલી શોકસભામાં સામાજિક-રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સૌએ નયનને ન્યાય આપવા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી. વિશ્વ હિંદુ પરિષદે અલ્ટિમેટમ આપ્યું કે 15 દિવસમાં ન્યાય નહીં મળે તો જગન્નાથ મંદિરથી સેવન્થ ડે સ્કૂલ સુધી કૂચ કરવામાં આવશે. શોકસભામાં હત્યારાને ફાંસીની સજા આપવા માંગણી થઈ. લોકોનું કહેવું હતું કે કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ અને આવા ગુનામાં જુવેનાઇલ કાયદામાં ફેરફાર કરવો જોઈએ.

આ પણ વાંચો