Gujarat Congress: એક તરફ કેન્દ્ર સરકાર ‘ડિજિટલ ઈન્ડિયા’, ‘સુશાસન’ અને ‘વિશ્વગુરુ’ બનવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં છેલ્લા બે મહિનાથી પાસબુક, FD બુક અને અન્ય જરૂરી સ્ટેશનરીનો અભાવ હોવાનો મુદ્દો ઉઠ્યો છે. કોંગ્રેસે આ મામલે સરકાર અને ટપાલ વિભાગ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
Congressના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અંદાજે 9,000 પોસ્ટ ઓફિસો કાર્યરત છે, જેમાંથી આશરે 8,000 ગ્રામ્ય વિસ્તારોમાં અને 1,000 શહેરોમાં આવેલી છે. આ પોસ્ટ ઓફિસો મારફતે અંદાજે 2થી 2.5 કરોડ બચત ખાતાઓનું સંચાલન થાય છે. તેમ છતાં, છેલ્લા બે મહિનાથી પાસબુક અને અન્ય જરૂરી દસ્તાવેજોની અછતને કારણે લાખો ખાતેદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘણી યોજનાઓના લાભાર્થીઓને અસર
કોંગ્રેસનો દાવો છે કે પાસબુક અને પ્રમાણપત્રોના અભાવથી બચત ખાતા, રિકરિંગ ડિપોઝિટ (RD), ટાઈમ ડિપોઝિટ (TD), સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS), માસિક આવક યોજના (MIS), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSA), મહિલા સન્માન બચત પત્ર (MSSC), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), કિસાન વિકાસ પત્ર (KVP), નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) અને પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (PLI) સહિત અનેક નાણાકીય સેવાઓ પ્રભાવિત થઈ રહી છે.
જમા રકમનો પુરાવો માત્ર સ્ટેમ્પ મારેલી સ્લિપ
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે નવા ખાતા ખોલાવનાર અથવા નવી FD કરાવનાર ગ્રાહકોને પાસબુક આપવામાં આવતી નથી. માત્ર પૈસા જમા કર્યાની સ્લિપ પર સ્ટેમ્પ મારીને પુરાવા તરીકે આપવામાં આવે છે. પાર્ટીનું કહેવું છે કે લાંબા ગાળે આ સ્થિતિ ગેરરીતિ અને નાણાકીય વિવાદોનું કારણ બની શકે છે.
ડુપ્લિકેટ પાસબુક માટે કડક નિયમો, છતાં સ્ટેશનરી ઉપલબ્ધ નથી
કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે જો કોઈ ખાતેદારની પાસબુક ખોવાઈ જાય અથવા ખરાબ થઈ જાય તો ડુપ્લિકેટ પાસબુક મેળવવા માટે ₹300ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ અને પોલીસ ફરિયાદ જેવી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પરંતુ આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ પોસ્ટ ઓફિસોમાં સ્ટેશનરી ઉપલબ્ધ ન હોવાનો જવાબ આપવામાં આવે છે.
સરકાર પાસે કોંગ્રેસના સવાલ
કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે પોસ્ટ ઓફિસમાં કરોડો રૂપિયાની થાપણો કરનારા સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના ખાતેદારોના નાણાંની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? પાર્ટીએ સરકાર અને પોસ્ટલ વિભાગને તાત્કાલિક પાસબુક અને FD બુક સહિતની જરૂરી સ્ટેશનરી ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ખાતેદારોને થતી હાલાકી અને કોઈપણ પ્રકારની ગેરરીતિ માટે સરકાર જ જવાબદાર રહેશે.




