India vs Pakistan: યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને યોજાનારા એશિયા કપ-2025માં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ઉભા થયેલા વિવાદ પર કેન્દ્ર સરકારે મોટું નિવેદન આપ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય અને પાકિસ્તાની ટીમને પણ ભારતમાં આવવાની મંજૂરી નહીં મળે.

એશિયા કપ અને ICC ટુર્નામેન્ટ જુદા-જુદા

સરકારે જણાવ્યું કે એશિયા કપ અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ટુર્નામેન્ટો અલગ માનવામાં આવશે. જો ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો થાય તો તે માત્ર ન્યૂટ્રલ વેન્યૂ પર જ યોજાશે.

માત્ર ICC ટુર્નામેન્ટમાં જ થશે મુકાબલો

રમતગમત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારત પોતાની નીતિમાં ફેરફાર નહીં કરે અને દ્વિપક્ષીય સિરીઝ શક્ય નથી. પરંતુ એશિયા કપ જેવી મલ્ટીનેશનલ ટુર્નામેન્ટમાં ભારત ભાગ લેશે. આ નિર્ણય પછી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત-પાકિસ્તાન માત્ર એશિયા કપ કે ICC ટુર્નામેન્ટમાં જ ટકરાશે.

BCCIએ જાહેર કરી ભારતીય ટીમ

BCCIએ 19 ઑગસ્ટે એશિયા કપ માટે ટીમ જાહેર કરી હતી. અજિત અગરકરે જાહેરાતમાં જણાવ્યું કે સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઈસ કેપ્ટન રહેશે. ટીમમાં અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા અને રિન્કુ સિંહનો સમાવેશ કરાયો છે.

ભારતની ગ્રૂપ સ્ટેજ મેચો

ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરે UAEમાં શરૂ થશે. ગ્રૂપ સ્ટેજમાં ભારત ત્રણ મેચ રમશે—10 સપ્ટેમ્બરે યુએઈ સામે દુબઈમાં, 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે દુબઈમાં અને 19 સપ્ટેમ્બરે ઓમાન સામે અબુ ધાબીમાં. પછી સુપર-4 અને ફાઈનલ સ્ટેજ થશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રણ મુકાબલાની સંભાવના

14 સપ્ટેમ્બરે દુબઈમાં ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ રમાશે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો પહેલીવાર સામસામે આવશે. શક્યતા છે કે સુપર-4 અને ફાઈનલમાં પણ બંને ટીમો ભીડે, એટલે કુલ ત્રણ વખત ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે છે.

આ પણ વાંચો