આજે આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ઉમેદવાર Gopal Italiaએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં AAP ઉમેદવાર Gopal Italiaએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની તેનાથી આખો દેશ હચમચી ગયો હતો. આ દુર્ઘટનામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા અને આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું. હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ભવિષ્યમાં ક્યારેય પણ આવી ફરી કોઈ દુર્ઘટના ન ઘટે અને આપણા દેશ પર આવી કોઈ પણ પ્રકારની આફત ન આવે. બીજી બાજુ હાલ વિસાવદરની ચૂંટણીમાં જબરદસ્ત ફાઈટ જામી છે. એક તરફ ભાજપ અને તંત્રએ તમામ ભ્રષ્ટ તાકાતોને કામે લગાડી છે . આખા ગુજરાતમાંથી માથાભારે માણસો, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો સહિત હજારો માણસોએ વિસાવદરમાં ભાજપને બચાવવા માટે ધામા નાખ્યા છે. એક તરફ આખું તંત્ર લાગ્યું છે અને બીજી તરફ મારા જેવો એક સામાન્ય ઘરનો યુવાન છે. મને લોકોનો પ્રેમ મળી રહ્યો છે અને હું લોકોના આશીર્વાદથી આ લડાઈ લડી રહ્યો છું બીજી બાજુ સત્તાના દમ પર અને પોલીસ, પૈસા અને દારૂના દમ પર ભાજપ પાર્ટી આ ચૂંટણી લડી રહી છે. આજે આ ચૂંટણી આખા ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે.

તો હવે આજે હું જાહેર કરવા જઈ રહ્યો છું કે વિસાવદર પંથકના ધારાસભ્ય બન્યા બાદ હું કયા કયા કામો કરીશ. આ તમામ બાબતોને એફિડેબિટ કરીને જનતા સમક્ષ રજૂ કર્યું છે. આ એફિડેવિટમાં મેં સંકલ્પ લઈને કહ્યું છે કે, હું ઈકોઝોનને લાગુ થવા નહીં દઉં અને તેના માટે જબરદસ્ત લડત હું વિસાવદરથી લઈને વિધાનસભા સુધી લડીશ. હું નવી જમીન માપણી રદ કરાવવા માટે પણ લડત લડીશ. ત્યારબાદ મારો સંકલ્પ છે કે હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના લોકોને ‘સૌની યોજના’નું પાણી અપાવીશ, જેના કારણે નાના નાના ડેમો ભરાશે. ત્યારબાદ ટેકાના ભાવના જણસી ખરીદીના કેન્દ્રો પર થતો ભ્રષ્ટાચાર અટકાવીશ. ત્યારબાદ મારો સંકલ્પ છે કે સહકારી મંડળીઓમાં ખેડૂતો સાથે થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરાવીશ અને ખેડૂતોને ન્યાય અપાવીશ. વર્ષો પહેલા મંજૂર થયેલા ચેકડેમોના કામ શરૂ કરાવીશ અને નવા ચેકડેમ માટે વિધાનસભામાં પ્રસ્તાવ મુકીશ. આ વિસ્તારના રોડ, નાળા, બ્લોક કટર સહિતના તમામ સરકારી કામોમાં જે કટકી થાય છે તેને બંધ કરાવીશ, ભ્રષ્ટાચાર અટકાવીશ અને સારા તથા ટકાઉ મજબૂત રોડ બનાવડાવીશ. ગામ તળની જમીન વધારવા તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિને 100 ચોરસ મીટરના સરકારી પ્લોટ મળે એ માટે વિધાનસભામાં અવાજ ઉઠાવીશ અને કાયદાકીય પ્રક્રિયા કરાવીશ.

જરૂરિયાતમંદ પરિવારને BPL કાર્ડ મળે અને સમયસર અનાજ મળે એ માટે હંમેશા કામ કરીશ. સરકારી દવાખાનાઓમાં પૂરતા સાધનો, દવાઓ અને સારવાર ઉપલબ્ધ થાય તેમજ સરકારી શાળાઓમાં ભણતરના સાધનો માટે ગ્રાન્ટ પાડી અને દવાખાનાઓ તથા શાળાઓમાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ કરાવીશ. વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય એમ ત્રણેય તાલુકાઓમાં ધારાસભ્યનું કાર્યાલય ખોલવામાં આવશે અને તાલુકા કક્ષાની તમામ સરકારી કચેરીઓમાં જનતાને ધક્કા ન ખાવા પડે એ માટે અરજીઓ લખી આપવી, ફોર્મ ભરી આપવું સહિતની તમામ કામગીરી ધારાસભ્યના કાર્યાલયમાંથી નિઃશુલ્ક કરવામાં આવશે. આ વિસ્તારના અનેક નિર્દોષ લોકો પર વન વિભાગ અને PGVCL દ્વારા ખોટા કેસો કરવામાં આવ્યા છે, તે તમામ નિર્દોષ લોકોને નિઃશુલ્ક કાનૂની મદદ આપવામાં આવશે. વિસાવદર અને ભેસાણ બંને તાલુકાઓમાં આધુનિક લાઇબ્રેરી તથા રમતગમત માટેનું ગ્રાઉન્ડ બનાવવામાં આવશે, યુવાનોને સરકારી નોકરી તેમજ ધંધા માટેની માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે સમયાંતરે તજજ્ઞો દ્વારા સેમિનારનું આયોજન કરાવશે. મહિલાઓ માટે સ્વરોજગાર અને રોજગાર માટે વિવિધ એજન્સીઓનો સંપર્ક કરીને બ્યુટી પાર્લર, સીવણ ક્લાસ, ભરતગુંથણ, મિલ્ક પ્રોડક્ટ વગેરે ગ્રામીણ રોજગારલક્ષી કાર્યક્રમો ચલાવવામાં આવશે.
