Ahmedabad: સિંગર ફાલ્ગુની પાઠકે ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે અમદાવાદમાં 2 ઓક્ટોબરે યોજાનાર ગરબાનો કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો. હવે અમદાવાદમાં આ જ સ્થળે 14 ઓક્ટોબરે ગરબાનો કાર્યક્રમ યોજાશે. ફાલ્ગુનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા આ જાહેરાત કરી હતી.

મળતી માહિતી અનુસાર સિંગર ફાલ્ગુની પાઠકે કહ્યું કે, “કેમ છો બધા? આવતી કાલથી શરુ થતી નવરાત્રિની તમે બધાએ ઓલમોસ્ટ તૈયારી કરી દીધી હશે. અને ખાસ તો હું આજે એટલા માટે લાઇવ આવી છું કે એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાની છે. આજે અમદાવાદમાં કાર્યક્રમ થવાનો છે, તે અમુક કારણોસર પોસપોન્ડ કરવો પડ્યો છે. જે હવે આગામી 14મી ઑક્ટોબરે થશે. તેનું કારણ હું તમને કહું તો, ટોરેન્ટોથી અમે પરત ભારત આવી રહ્યા હતા, જેમાં હું અને મારી ટીમ અલગ ફ્લાઇટમાં હતા, એટલે અમે ગઈ કાલ સાંજે પરત આવી પહોંચવાના હતા. પરંતુ તેમની ફ્લાઇટનો પેરીસમાં હોલ્ટ હતો. ગઈકાલે ફ્લાઇટ ભારત આવવા માટે રવાના થઈ, પરંતુ ઇરાન અને ઈઝરાયલના યુદ્ધના કારણે ફ્લાઇટને અધવચ્ચેથી પરત પેરીસ જવુ પડ્યું છે. એટલે અત્યારે અમારી આખી ટીમ પેરીસમાં અટકેલી છે.”

આ અંગે સિંગરે વધુમાં કહ્યું કે એમ તો આજે હું એકલા આવી શકત, પરંતુ ટીમ વગર તમને પણ મજા નહીં આવે અને મને ગાવાની પણ મજા નહીં આવે. એટલે પ્લીઝ તમારા લોકોના સપોર્ટની જરુર છે. તો આપણે આજના બદલે 14 ઑક્ટોબરે મળીએ, અને ગરબા અને રાસની રમઝટ બોલાવીએ.