Peshawar એરપોર્ટ પર સાઉદી એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી. આ વિમાનમાં 276 મુસાફરો અને 21 ક્રૂ મેમ્બર સવાર હતા. આ ફ્લાઈટ સાઉદી અરેબિયાના રિયાધથી પેશાવર આવી હતી. અહીં પ્લેનના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી હતી. જાનહાનિના સમાચાર નથી. તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

ગુરુવારે સવારે સાઉદી એરલાઈન્સની ફ્લાઈટ નંબર 792 Peshawar એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. રનવે પર ઉતર્યા પછી, જ્યારે પ્લેન લૂપમાં ફેરવાઈ રહ્યું હતું, ત્યારે તેના ડાબા લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. અધિકારીઓ સતર્ક થયા ત્યાં સુધીમાં આગની જ્વાળાઓ વધવા લાગી. એરપોર્ટ અધિકારીઓએ સમયસર આગ પર કાબુ મેળવ્યો હતો.

ઇમરજન્સી ગેટમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા
દુર્ઘટના સમયે વિમાનમાં અંદાજે 276 મુસાફરો સવાર હતા. આગની માહિતી મળતા જ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. એરપોર્ટ અધિકારીઓએ તરત જ રેસ્ક્યુ ટીમને પ્લેન તરફ મોકલી હતી. આ પછી મુસાફરોને વિમાનના ઈમરજન્સી ગેટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.

જો પેશાવરના બાચા ખાન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થોડી પણ બેદરકારી દાખવાઈ હોત તો સેંકડો મુસાફરોએ જીવ ગુમાવ્યો હોત. સદનસીબે તમામ મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના પ્રવક્તા સૈફુલ્લાના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. એ જ રીતે, એર ટ્રાફિક કંટ્રોલર્સ સક્રિય થયા અને પાઇલોટ્સને એલર્ટ કરવામાં આવ્યા અને એરપોર્ટની ફાયર બ્રિગેડ અને બચાવ ટીમને ત્યાં મોકલવામાં આવી.

ફ્લેટેબલ સ્લાઇડમાંથી બહાર આવતા મુસાફરો
પાકિસ્તાની મીડિયા અનુસાર, પ્લેનમાં આગની માહિતી મળતાં જ ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. જેના કારણે સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. બીજી તરફ, પ્લેનના ક્રૂમાંના 21 લોકોએ મુસાફરોને શાંત કર્યા અને ઈમરજન્સી ગેટની સાથે ખુલેલી ઈન્ફ્લેટેબલ સ્લાઈડ દ્વારા એક પછી એક તમામ મુસાફરોને બહાર કાઢ્યા.