લોકસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને 293 બેઠકો મળી હતી. નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા હતા. તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થન પત્રો સબમિટ કર્યા છે. હવે મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. જો કે તેમના શપથ ગ્રહણ સમારોહની તારીખને લઈને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ સમારોહની તારીખ બદલવામાં આવી છે. હવે મોદી 9 જૂને ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. અગાઉ આ કાર્યક્રમ 8 જૂને યોજાવાનો હતો. મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં વિદેશી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, મોદીએ શપથ ગ્રહણ સમારોહ પહેલા બુધવારે રાષ્ટ્રપતિ મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓના રાજીનામાનો સ્વીકાર કર્યો અને નવી સરકારની રચના સુધી તેમને કાર્યકારી વડા પ્રધાન તરીકે રહેવા કહ્યું હતુ.

તેના એક દિવસ પહેલા જ NDAએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે સ્વીકારી લીધા છે. બુધવારે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં NDAના 21 નેતાઓએ મોદીને તેમના નેતા તરીકે સ્વીકારતા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. જેના કારણે નરેન્દ્ર મોદી માટે ફરી એકવાર વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. બેઠકમાં તમામ નેતાઓએ વડાપ્રધાન મોદીને તેમના કાર્યકાળ અને છેલ્લા 10 વર્ષમાં દેશમાં થયેલા વિકાસ કાર્યો માટે પણ અભિનંદન પાઠવ્યા હતા.

ભારતના ચૂંટણી પંચે મંગળવારે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં બીજેપીને સૌથી વધુ 240 સીટો મળી છે અને 99 સીટો સાથે કોંગ્રેસ બીજા ક્રમે છે. જો કે ગત વખતની સરખામણીએ આ ચૂંટણીમાં ભાજપને 32 સીટોનું નુકસાન થયું છે. 2014 પછી આ પહેલીવાર છે જ્યારે ભાજપને સંપૂર્ણ બહુમતી મળી નથી.

આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ભૂટાનના રાજા, શ્રીલંકાના રાષ્ટ્રપતિ, નેપાળ, બાંગ્લાદેશ અને મોરેશિયસના વડાપ્રધાનને તેમના શપથગ્રહણ માટે આમંત્રણ આપ્યું છે. હકીકતમાં, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાભરમાંથી સતત શુભકામનાઓ મળી રહી છે.