Nepal: નેપાળમાં બુધવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શૌર્ય એરલાઈન્સનું વિમાન ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું છે. પોખરા જઈ રહેલા આ પ્લેનમાં ક્રૂ સહિત 19 લોકો સવાર હતા. આ વિમાન દુર્ઘટના સવારે લગભગ 11 વાગ્યે બની હતી.

નેપાળની રાજધાની કાઠમંડુમાં બુધવારે એક મોટો વિમાન અકસ્માત થયો હતો. શૌર્ય એરલાઈન્સનું વિમાન ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. કાઠમંડુ પોસ્ટ અનુસાર, અકસ્માત સ્થળ પરથી 18 મૃતદેહો મળી આવ્યા છે.

વિમાનમાં 19 લોકો સવાર હતા

કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, TIAના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું હતું કે પોખરા જતી ફ્લાઈટમાં એરક્રુ સહિત 19 લોકો સવાર હતા. આ પ્લેન સવારે લગભગ 11 વાગ્યે ક્રેશ થયું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો અકસ્માત સ્થળે હાજર છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

પાયલોટને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો

એરપોર્ટ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે વિમાનના પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વિમાનમાં લાગેલી આગને ઓલવી લેવામાં આવી છે. પોલીસ અને અગ્નિશામક દળના જવાનો દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે. હાલમાં મુસાફરોની સ્થિતિ વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

ત્યાં હાજર લોકોએ દુર્ઘટના પહેલાની સ્થિતિ જણાવી

કાઠમંડુ પોસ્ટ અનુસાર, સાક્ષીઓએ જણાવ્યું હતું કે પ્લેન રનવેના દક્ષિણી છેડેથી ટેકઓફ કરી રહ્યું હતું ત્યારે તે અચાનક પલટી ગયું અને પાંખ જમીન સાથે અથડાઈ, જેના કારણે પ્લેનમાં તરત જ આગ લાગી ગઈ. ત્યારપછી તે રનવેની પૂર્વ બાજુએ બુદ્ધ એર હેંગર અને રડાર સ્ટેશન વચ્ચેના ખાડામાં પડી ગયું હતું. વાયરલ વીડિયોમાં એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે.