‘જાતિય ગુનાઓ સહિતના કેસમાં મહિલા ફરીયાદી હોવાથી તેમની ફરીયાદ સાચી જ હોય, તેવુ દરેક કેસમાં માની લેવુ યોગ્ય નથી. કારણ કે, હાલના સમયમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પમ આવા ષડયંત્રો થતા હોય છે.’ કેરળ હાઈકોર્ટે એક કંપનીની પૂર્વ કર્મચારી દ્વારા પોતાના માલિક સામે લગાવાયેલા આક્ષેપ બાદ આગોતરા જામીન અરજીની સુનાણવી વખતે આ આકરી ટીપ્પણી કરી છે. જસ્ટિસ પી.વી. કુન્હીકૃષ્ણએ સુનાવણી દરમિયાન કહ્યું કે પોલીસ માત્ર ફરીયાદી-પીડિતાની જ વાત સાંભળે તે યોગ્ય નથી. આરોપીઓ દ્વારા કરાયેલી ફરીયાદોની પણ તપાસ કરવી જોઈએ. (‘મહિલાએ ફરીયાદ કરી હોય તો તે સાચી જ હોય તે જરૂરી નથી’)

ન્યાયાધીશે કહ્યું કે, ‘ફરિયાદી મહિલા હોવાનો અર્થ એ નથી કે કેસની તપાસ એકતરફી રીતે થવી જોઈએ.’ એવું માની લેવુ યોગ્ય નથી કે, મહિલાઓના નિવેદનો બધી ઘટનાઓમાં સંપૂર્ણપણે સાચા છે. આવા કેસોમાં પોલીસ આરોપીના નિવેદનોને ધ્યાનમાં લીધા વિના મહિલાના નિવેદનના આધારે આગળ વધે તેવું ન બનવું જોઈએ. આજના સમયમાં જાતીય સતામણીના ગંભીર આરોપોમાં નિર્દોષ લોકોને ફસાવવાના કાવતરા જોવા મળે છે.

જસ્ટિસ કુન્હીકૃષ્ણને પોલીસને ટકોર કરતા જણાવ્યુ હતુ કે, પોલીસને લાગે કે આવી મહિલાઓના પુરુષો સામેના આરોપો ખોટા છે, તો તેઓ ફરિયાદીઓ એટલે કે, ખોટી ફરીયાદ કરનાર મહિલાઓ સામે પણ કાર્યવાહી કરી શકે છે કારણ કે કાયદો પરવાનગી આપે છે. તેમણે એમ પણ કહ્યું કે ખોટા આરોપોને કારણે નાગરિકને થયેલા નુકસાનની ભરપાઈ ફક્ત પૈસા આપીને થઈ શકતી નથી.

Also Read: 2 દેશના સર્વોચ્ચ વડા વચ્ચે ‘શાબ્દિક યુદ્ધ’ : ઝેલેન્સકીએ વેદનાઓ ઠાલવી તો ટ્રમ્પે અરીસો બતાવી દીધો

તેમણે ઉમેર્યુ કે, ‘ખોટી ફરિયાદના કારણે કેટલાક સાચા લોકોની પ્રામાણિકતા, સમાજમાં સ્થાન, પ્રતિષ્ઠા ખરડાય છે.’ ગુનાહિત કેસોમાં સત્ય શોધવા માટે પોલીસ અધિકારીઓએ તપાસ દરમિયાન સતર્ક રહેવું જોઈએ. તેથી, ફોજદારી કેસોમાં અંતિમ અહેવાલ રજૂ કરતા પહેલા સત્ય અને અસત્યને અલગ કરવાની પોલીસની ફરજ છે.

Also Read:

ઉલ્લેખનીય છે કે, મહિલાએ આરોપ લગાવ્યો હતો કે કંપનીના મેનેજરે ખોટા ઇરાદાથી તેનો હાથ પકડી રાખ્યો હતો. જો કે, મેનેજર દ્વારા અગાઉ મહિલા કર્મચારીના ગેરવર્તન અને ધમકીઓ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. આરોપીએ મહિલાની ધમકીઓનું ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને સોંપ્યું હતુ. મેનેજરે જણાવ્યુ હતુ કે, મહિલા કર્મચારી પોતાનું કામ યોગ્ય રીતે ન કરતા  નોકરીમાંથી કાઢી મૂકી હતી, ત્યારબાદ મહિલાએ તેને દુર્વ્યવહાર કર્યો અને ધમકી આપી, આ પ્રકારની ફરીયાદ કરી હતી