આજે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. મોદીની સાથે કેટલાક સાંસદો પણ આજે મંત્રી તરીકે શપથ લેશે. શું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની ત્રીજી સરકારમાં સ્મૃતિ ઈરાનીને ફરી એકવાર કેન્દ્રીય મંત્રી પદ મળશે? આ સવાલ દરેકના મનમાં ઉઠી રહ્યો છે. આ વખતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને હરાવીને અમેઠી બેઠક જીતનાર ઈરાનીને આ વખતે કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા પાસેથી 1 લાખ 67 હજાર 196 મતોના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં તેમના માટે મંત્રી બનવું એટલું સરળ નથી.

સ્મૃતિ ઈરાની વર્ષ 2003માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. વર્ષ 2004માં તેમને મહારાષ્ટ્ર યુથ વિંગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સ્મૃતિએ 14મી લોકસભાની ચૂંટણી દિલ્હીના ચાંદની ચોક બેઠક પરથી લડી હતી. તેઓ આ ચૂંટણી કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ સામે લડ્યા હતા. જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

2014ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી. આ બેઠક પરથી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી હતી. ઈરાનીને રાહુલ ગાંધીએ 1,07,923 મતોથી હરાવ્યા હતા.

મંત્રીમંડળમાં સ્થાન મળ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની કેબિનેટમાં સ્મૃતિ ઈરાનીને માનવ સંસાધન વિકાસ મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. જોકે, તેમની નિમણૂકની ઘણી ટીકા થઈ હતી. જુલાઈ 2016માં કેબિનેટમાં ફેરબદલ દરમિયાન ઈરાનીને ટેક્સટાઈલ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. બાદમાં તેમને માહિતી અને પ્રસારણ મંત્રાલય (ભારત)નો વધારાનો હવાલો આપવામાં આવ્યો.

વર્ષ 2019માં અમેઠીથી જીતી
2019ની સામાન્ય ચૂંટણીમાં ઈરાનીને ફરી એકવાર અમેઠી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી અને તેમણે રાહુલ ગાંધીને ચૂંટણીમાં ખરાબ રીતે હરાવ્યા હતા. જો કે, સ્મૃતિ ઈરાનીનો જાદુ 2024ની લોકસભા ચૂંટણીમાં કામ ન કરી શક્યો અને તે જંગી મતથી હારી ગઈ.