Mehsana: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ નજીક આવેલી પાંજરાપોળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એકસાથે અંદાજે 15થી 20 જેટલી ગાયોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને ગૌપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.

પાલિકા દ્વારા પકડાયેલી ગાયો પાંજરાપોળમાં રાખવામાં આવતી

મળતી માહિતી મુજબ, મહેસાણા શહેર વિસ્તારમાંથી રસ્તા પર ભટકતી ગાયો મહેસાણા પાલિકા દ્વારા પકડીને આ પાંજરાપોળમાં રાખવામાં આવતી હતી. ગાયો માટે જરૂરી સંભાળ, ચારો અને પાણીની વ્યવસ્થા માટે પાલિકા તરફથી પાંજરાપોળને નાણાંકીય સહાય પણ આપવામાં આવતી હતી. તેમ છતાં એકસાથે એટલી મોટી સંખ્યામાં ગાયોના મોત થતાં વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઊભા થયા છે.

ખોરાક-પાણીની અછત અંગે આક્ષેપ

સ્થાનિક લોકો અને ગૌપ્રેમીઓએ આ ઘટનાને લઈને કડક આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે પાંજરાપોળમાં ગાયો માટે યોગ્ય સંભાળ લેવાતી નહોતી. પૂરતો ચારો-પાણી ન મળવાથી અને અવ્યવસ્થિત દેખરેખને કારણે ગાયોનું સ્વાસ્થ્ય બગડતું ગયું અને અંતે તેમના મોત થયા. ઘટનાની હકીકત ત્યારે બહાર આવી જ્યારે એક ખાનગી ટ્રસ્ટના સભ્યો પાંજરાપોળની મુલાકાતે આવ્યા હતા. તેમણે જોયું કે કેટલીક મૃત ગાયો ટ્રેક્ટરમાં ભરીને લઈ જવાઈ રહી હતી. આ દૃશ્ય જોઈને તેમને ગંભીર શંકા ઉપજી અને તેમણે તરત જ પોલીસને જાણ કરી.

પોલીસ તપાસ શરૂ

માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. મૃત ગાયોના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેથી મોતના સાચા કારણો બહાર આવી શકે. શું ખરેખર ખોરાક-પાણીની અછતથી ગાયોના મોત થયા છે કે પછી કોઈ બીજું કારણ છે તેની હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

ગ્રામજનોમાં રોષ

ગાયોના મોતના સમાચાર મળતા જ સ્થાનિક ગ્રામજનો અને ગૌપ્રેમીઓ મોટી સંખ્યામાં પાંજરાપોળ ખાતે એકત્રિત થયા હતા. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમનું કહેવું છે કે ગાયોની સંભાળ માટે નિયમિત સહાય આપવામાં આવે છે છતાં આવું બનવું ગંભીર બેદરકારી દર્શાવે છે. ગામલોકોનું માનવું છે કે જો સમયસર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો ગાયોનું પ્રાણ બચાવી શકાય હોત.

જવાબદારી નિર્ધારણની માંગ

ગૌપ્રેમીઓ અને સ્થાનિક લોકો દ્વારા એક જ સ્વરમાં માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. જો ગાયોના મોત બેદરકારીના કારણે થયા હોય તો જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. લોકોનું કહેવું છે કે પાંજરાપોળમાં ઘણી વાર ખોરાક અને પાણીની સુવિધા અંગે ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પગલાં લેવામાં ન આવતા અંતે આ દુઃખદ ઘટના બની છે.

નાગરિક સમાજમાં ચર્ચા

આ બનાવને કારણે નાગરિક સમાજમાં ચર્ચા ચાલી રહી છે કે જ્યારે ગાયોની સંભાળ માટે સરકારી સહાય અને દાનરૂપે મળતા ફંડનો ઉપયોગ થાય છે, ત્યારે છતાં આવી બેદરકારી કેમ? કેટલાક સામાજિક કાર્યકરોનું માનવું છે કે પાંજરાપોળની કામગીરીમાં પારદર્શિતા જાળવવા માટે કડક નિરીક્ષણ જરૂરી છે. નહિંતર આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ફરીયાત બનશે.

વહીવટી તંત્ર પણ હરકતમાં

પોલીસ તપાસ ઉપરાંત મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. તાલુકા સ્તરે અધિકારીઓને સ્થળ પર મોકલીને પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ પાસાઓની તપાસ થઈ રહી છે. જો કોઈ બેદરકારી કે ગેરરીતિ સામે આવશે તો જવાબદાર સામે કાયદાકીય કાર્યવાહી થશે.

આ પણ વાંચો