Rathyatra 2024

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતે ભકોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. જ્યારે ભગવાન વર્ષે એક વાર પોતાના ભક્તોને દર્શન આપવા આવે છે માટે તેમના સ્વાગતમાં અઢળક ભીડ જોવા મળે છે. જ્યારે જગતના નાથ ભક્તોની વચ્ચે પહોંચે ત્યારે ભક્તોની ખુશી બેગણી થઈ જાય છે.

હર્ષ સંઘવીએ પણ ભગવાન જગન્નાથના દર્શન કર્યા

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાનો આજે પ્રારંભ થયો હતો. હર્ષ સંઘવી પણ રથયાત્રા નિહાળવા પહોંચ્યા હતા. ગૃહ મંત્રી રથયાત્રા નિહાળવા માટે પ્રેમ દરવાજા પહોંચ્યા હતા અને કહ્યું કે આ વર્ષે સુરક્ષા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકોએ પોલીસ અને મેડિકલ ટીમને પણ ખૂબ સહયોગ આપ્યો છે. 4 એમ્બ્યુલન્સને ભીડમાંથી નીકળવા લોકોએ રસ્તો કરી આપ્યો છે. હર્ષ સંઘવીએ ભગવાન જગન્નનાથની રથયાત્રામાં પહોંચીને કબૂતર ઉડાડયું હતું. હર્ષ સંઘવીએ શાંતિ સંદેશ આપ્યો હતો. અમદાવાદની રથયાત્રામાં અત્યાર સુધીમાં 4 લોકો બેહોશ થયા છે અને 5થી વધુ બાળકો પોતાના માતા પિતાથી અલગ થઈ ગયા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડથી રથયાત્રાનું નિરીક્ષણ કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ રથયાત્રાનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં તેમણે સીએમ ડેશબોર્ડથી રથયાત્રાનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં રથનું લોકેશન, સુરક્ષા વગેરેની માહિતી જોઈ શકાય છે. મુખ્ય સચિવ રાજકુમાર અને ડીજીપી વિકાસ સહાય પણ અહીં હાજર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભગવાનનો રથ ખેંચીને રથયાત્રાની શરૂઆત કરી હતી.