E-waste: ૨૧મી સદી ટેકનોલોજીની સદી છે. આજના સમયમાં ઈ-વેસ્ટ એક મોટી સમસ્યા બની ગઈ છે. ઈ-વેસ્ટ એટલે કે, ઇલેક્ટ્રોનિક કચરો. આજે ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઇલ, જીપીએસ, મોડેમ જેવા ૧૦૬ પ્રકારનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વપરાશમાં સતત વધારો થવાના કારણે ઇ-વેસ્ટનું પ્રમાણ વધતું જાય છે. હાલમાં સમગ્ર દેશમાં તા. ૩૧ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છ ભારત અભિયાન’ની ઉજવણી થઇ રહી છે ત્યારે, ઈ-વેસ્ટના યોગ્ય નિકાલ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અનેકવિધ પ્રકલ્પો હાથ ધરી રહી છે. જેના ફળરૂપે રાજ્યમાં છેલ્લા ૦૩ વર્ષમાં એક લાખથી વધુ મેટ્રિક ટનનો ઇલેક્ટ્રિક કચરો એકત્ર કરી તેનું વિવિધ સ્વરૂપે યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે.

વર્ષ ૨૦૧૮થી વૈશ્વિક સંસ્થા “વેસ્ટ ફ્રોમ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એક્વિપમેન્ટ ફોરમ” (WEEE) દ્વારા દર વર્ષે તા. ૧૪મી ઓક્ટોબરે ‘વર્લ્ડ ઈ-વેસ્ટ મેનેજમેન્ટ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે ‘Retrieve, Recycle and Revive’ ની થીમ ઉપર આ દિવસ ઉજવવામાં આવશે. આ ઉપરાંત, ઈ-વેસ્ટ પ્રત્યે રાજ્યભરના નાગરિકોમાં વધુ જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશયથી જન જાગ્રુતિ અર્થે વર્કશોપ, સેમિનાર, ઈ-વેસ્ટ કલેક્શન ઝુંબેશ જેવી પ્રવૃત્તિઓ જીપીસીબી દ્વારા સતત હાથ ધરવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા આ દિવસે વિવિધ નિસ્બતધારકોને એકત્રિત કરી આ વિષય પર ટેકનિકલ સેમિનારનું આયોજન થયેલ છે. જેમાં તજજ્ઞો આ વિષય પર વિશદ ચર્ચા કરી ઈ-વેસ્ટ વ્યવસ્થાપન ને સુદ્રઢ કરવા પ્રયત્નો કરશે.

ઇ-વેસ્ટમાં મુખ્યત્વે લેડ, મર્ક્યુરી અને કેડમિયમ જેવી અનેક પ્રકારની ઝેરી અને હાનિકારક ધાતુઓ હોય છે, જે મોટા પ્રમાણમાં વાયુ, જળ અને જમીનમાં પ્રદૂષણ ફેલાવે છે,  એટલા માટે જ, ઇ-વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ અને રિસાયક્લ કરવું ખૂબ જ જરૂરી છે. 

વધુમાં રિસાયકલ કર્યા પછી તેમાંથી મળતા આર્યન, કોપર, પ્લાસ્ટિક અને અન્ય કિંમતી ધાતુઓને ફરીથી નવી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ બનાવવા, વાહનોમાં તેમજ અન્ય ઔદ્યોગિક સાધનોના ઉત્પાદનમાં  ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાત માટે ઈ-વેસ્ટ મેનેજમેન્ટ એ માત્ર પર્યાવરણ સુરક્ષાની સાથે  નવા રોજગાર અને ઔદ્યોગિક તક ઉભી કરવા માટે એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. જેનાથી કુદરતી સંસાધનોનું સંવર્ધન અને પર્યાવરણના સંરક્ષણમાં પણ મદદ થશે.

ઈ-વેસ્ટ વ્યવસ્થાપનના નિયમો

ભારતમાં ઈ-વેસ્ટના વ્યવસ્થાપન માટે ઈ-વેસ્ટ રૂલ્સ અમલમાં છે. આ કાયદા હેઠળ, માત્ર અધિકૃત ડિસમેંટલર્સ અને રજિસ્ટર્ડ ઈ-વેસ્ટ રિસાયકલર્સ ઈ-વેસ્ટ એકત્ર કરી શકે છે. ઈ-વેસ્ટ (વ્યવસ્થાપન) નિયમો ૨૦૨૨ મુજબ ઉત્પાદક, નિર્માતા, રિફર્બિશર અને રિસાયકલરે સીપીસીબીના પોર્ટલ https://eprewastecpcb.in/ ઉપર નોંધણી કરવી ફરજીયાત છે.

આ નિયમને વધુ મજબૂત બનાવવા માટે, Extended Producer Responsibility (EPR) નો સિધ્ધાંત લાગુ પાડવામાં આવેલ છે. જેમાં ઇલેક્ટ્રીકલ/ઇલેક્ટ્રોનિક્સ સાધનોના ઉત્પાદકોએ તેમના ઉત્પાદનો થકી ઉત્પન્ન  થતા ઇ-વેસ્ટને, તે અધિકૃત રિસાયકલર્સ સુધી પહોંચે તે માટેના વ્યવસ્થાના ભાગ રૂપે જવાબદારી આપવામાં આવેલ છે.