T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવાના નિર્ણયને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાને લઈને પૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેએમણે હાર્દિકને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવીને તે જરાય આશ્ચર્યમાં નથી. ઉલ્લેખનીય છે કે પંડ્યા IPLમાં પોતાના ખરાબ પ્રદર્શનને કારણે લોકોના નિશાના પર છે. પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે પ્રભાવ પાડી શક્યો નથી.

ક્ષમતા પર કોઈ પ્રશ્ન નથી

પ્રસાદે હાર્દિકની ક્ષમતા પર સવાલ ઉઠાવવાના બદલે તેના પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીસીસીઆઈના પૂર્વ મુખ્ય પસંદગીકારે કહ્યું કે જ્યારે પણ રોહિત T-20 આંતરરાષ્ટ્રીય મેચોથી દૂર રહ્યો છે હાર્દિકે ભારતની કપ્તાની સંભાળી લીધી છે. આવી સ્થિતિમાં જ્યારે કેએલ રાહુલ પણ ટીમમાં નથી ત્યારે હાર્દિક પંડ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેમણે કહ્યું કે હાર્દિક લાંબા સમયથી નેતૃત્વની ભૂમિકા માટે તૈયાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, જ્યારે તેને મોટી જવાબદારી સોંપવામાં આવી ત્યારે આ શ્રેષ્ઠ તક હતી. તેણે કહ્યું કે પસંદગીકારોએ તેને ટીમમાં પસંદ કરીને અને તેને વાઇસ કેપ્ટન્સી આપીને ખૂબ જ યોગ્ય નિર્ણય લીધો છે. તે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ખૂબ અસરકારક સાબિત થશે.

હાર્દિક જેવું કોઈ નથી

પ્રસાદે સવાલ પૂછ્યો કે શું અત્યારે દેશમાં હાર્દિક પંડ્યા કરતાં સારો ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર કોઈ છે? ઠીક છે તેનું તાજેતરનું ફોર્મ સારું નથી રહ્યું. મુંબઈમાં કેપ્ટનશીપમાં ફેરફારથી તેના પ્રદર્શન પર અસર પડી છે. પરંતુ ભારતીય ટીમની જર્સી પહેરતા જ તેનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે બદલાઈ જશે. એમએસકેએ કહ્યું કે હું ફરી એકવાર કહું છું કે દેશમાં પંડ્યાથી સારો ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર કોઈ નથી. ક્રિકેટ નિષ્ણાતો શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.