Irfan pathan: યુપીના બિજનૌરના રહેવાસી મેકઅપ આર્ટિસ્ટ ફૈયાઝ અન્સારીનું વેસ્ટ ઈન્ડિઝમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું છે. ફૈયાઝના પરિવારજનોનું કહેવું છે કે તે T20 વર્લ્ડ કપમાં કોમેન્ટેટર તરીકે સામેલ પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ સાથે વેસ્ટ ઈન્ડિઝ ગયો હતો. ઈરફાન જ તેના મૃતદેહને પરત મોકલવાનો ખર્ચ ઉઠાવી રહ્યો છે. ફૈયાઝના મોતથી પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, મૃતક ફૈયાઝ અંસારી મૂળ બિજનૌરના નગીના તહસીલના મોહલ્લા કાઝી સરાયનો રહેવાસી હતો. તે ઘણા વર્ષોથી મુંબઈમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતો હતો. તેની ત્યાં સલૂનની ​​દુકાન હતી. આ દરમિયાન એક દિવસ પહેલા ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ તેના સલૂનમાં આવ્યો હતો. જે બાદ બંનેની ઓળખાણ થઈ અને ઈરફાને ફૈયાઝને પોતાનો મેકઅપ આર્ટિસ્ટ બનાવ્યો. ઈરફાન પણ તેને પોતાની સાથે વિદેશ લઈ જવા લાગ્યો હતો.

મૃતક ફૈયાઝ અંસારીના પિતરાઈ ભાઈ મોહમ્મદ અહેમદે જણાવ્યું કે હાલમાં T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ-અમેરિકામાં રમાઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની સુપર એઈટ મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહી છે. ઈરફાન પઠાણ મેચની કોમેન્ટ્રી માટે વેસ્ટ ઈન્ડિઝમાં છે. તે પોતાની સાથે મેકઅપ આર્ટિસ્ટ ફૈયાઝ અંસારીને પણ લઈ ગયો હતો. ફૈયાઝ પણ પઠાણ સાથે વેસ્ટ ઈન્ડિઝમાં હાજર હતો. વેસ્ટ ઈન્ડિઝથી માહિતી મળી છે કે શુક્રવારે સાંજે એક હોટલના સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે ફૈયાઝનું ડૂબી જવાથી મોત થયું હતું. આ સમાચાર મળતા જ પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

મોહમ્મદ અહેમદના જણાવ્યા અનુસાર ફૈયાઝ અન્સારીના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા અને તે આઠ દિવસ પહેલા જ નગીના બિજનૌરથી મુંબઈ ગયો હતો. આ અકસ્માત બાદ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પત્ની અને પરિવારના સભ્યોની હાલત અત્યંત ખરાબ છે.

તેણે કહ્યું કે ઈરફાન પઠાણ પોતે વેસ્ટ ઈન્ડિઝમાં તમામ ઔપચારિકતા પૂરી કરીને મૃતદેહને ભારત લાવવાની તૈયારી કરી રહ્યો છે. ફૈયાઝનો મૃતદેહ આવ્યા બાદ પરિવારજનો મૃતદેહ લેવા માટે દિલ્હી જશે. આ પ્રક્રિયામાં ત્રણ-ચાર દિવસનો સમય લાગે તેવી શક્યતા છે. હાલ ગામમાં મૃતદેહને દફનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.