Dilip Doshi: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ રોજર બિન્નીએ ભૂતપૂર્વ ડાબોડી સ્પિનર ​​દિલીપ દોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો, જેમનું સોમવારે 77 વર્ષની વયે અવસાન થયું હતું, અને કહ્યું કે, તેઓ સ્પિન બોલિંગના ધુરંધર હતા જેમણે પોતાની કુશળતા અને સમર્પણથી ક્રિકેટરોની એક પેઢીને પ્રેરણા આપી હતી.

દોશીએ 1979 માં 32 વર્ષની વયે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને 1979 થી 1983 દરમિયાન 33 ટેસ્ટ અને 15 ODI માં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના ક્લાસિકલ ડાબોડી સ્પિન માટે જાણીતા, તેમણે 114 ટેસ્ટ વિકેટો લીધી, જેમાં છ પાંચ વિકેટ અને 22 ODI વિકેટનો સમાવેશ થાય છે. તેમની કારકિર્દીમાં તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જ્યાં તેમણે 238 મેચોમાં 898 વિકેટો મેળવી હતી.

BCCI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “BCCI આ ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનના શોકમાં તેમના પરિવાર, પ્રિયજનો અને ક્રિકેટ સમુદાય સાથે એકતામાં ઉભું છે.”

“દિલીપ દોશીના નિધનના સમાચાર સાંભળીને અમને ખૂબ દુઃખ થયું છે. તેઓ સ્પિન બોલિંગના ધુરંધર , મેદાન પર અને મેદાનની બહાર એક સજ્જન અને ભારતીય ક્રિકેટના સમર્પિત સેવક હતા,” બિન્નીએ કહ્યું.

તેમણે ઉમેર્યું કે,”રમત પર તેમનો પ્રભાવ ઘણો મોટો હતો, અને તેમણે પોતાના કૌશલ્ય અને સમર્પણથી ક્રિકેટરોની એક પેઢીને પ્રેરણા આપી. ભારતીય ક્રિકેટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર, મિત્રો અને સમગ્ર ક્રિકેટ જગત પ્રત્યે અમારી ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ” .

આ પણ વાંચો