Virat kohli: ૪ જૂનના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેંગ્લોરમાં IPL ૨૦૨૫ ટ્રોફી જીતવાની ઉજવણી કરી હતી જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. જોકે આ સમય દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી અને ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલે ૬ જૂનની સવારે ૪ RCB અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. કિંગ કોહલી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કિંગ કોહલીનો તણાવ વધ્યો
ક્રિકેટર વિરાટ કોહલી વિરુદ્ધ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ વરિષ્ઠ સામાજિક કાર્યકર એચ.એમ. વેંકટેશે નોંધાવી છે. તેના જવાબમાં પોલીસે સ્પષ્ટતા જારી કરીને કહ્યું છે કે ફરિયાદ પહેલાથી જ નોંધાયેલા કેસ હેઠળ ધ્યાનમાં લેવામાં આવશે અને ચાલુ તપાસ દરમિયાન તેની તપાસ કરવામાં આવશે.

લાખો લોકો એકઠા થયા હતા
૩ જૂનના રોજ RCB એ પંજાબ કિંગ્સ સામે શાનદાર પ્રદર્શન કરીને તેનું પહેલું ટાઇટલ જીત્યું. RCB ૧૭ વર્ષથી IPLમાં ટ્રોફીના દુષ્કાળનો સામનો કરી રહી હતી. જોકે IPL 2025નો ખિતાબ જીત્યા બાદ ટીમનો દુકાળ પણ સમાપ્ત થયો અને ટીમને પહેલી ટ્રોફી પણ મળી. આ ખુશીમાં RCB એ બીજા દિવસે 4 જૂને બેંગ્લોરમાં ઉજવણી કરવાનું નક્કી કર્યું. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી મેદાનની બહાર લગભગ 3 લાખ ચાહકો તેમના પ્રિય ખેલાડી અને ટીમને જોવા માટે એકઠા થયા હતા જ્યારે સ્ટેડિયમની ક્ષમતા લગભગ 35 હજાર છે. આવી સ્થિતિમાં અચાનક ભાગદોડ મચી ગઈ અને 11 લોકોએ જીવ ગુમાવ્યા. આ ઉપરાંત 30 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.

કર્ણાટક સરકારે મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. આ પછી RCB એ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.