અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે ૧૫૪ મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલ ખાતે ૧૫૪ માં અંગદાનની વાત કરીએ તો કલોલ ના રહેવાસી ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણાને ૧૩/૦૫/૨૦૨૪ ના રોજ ડાબા શરીરમાં લકવાની અસર સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ માં લાવવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૧૫-૦૫-૨૦૨૪ ના રોજ તબીબોએ અમરતભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા. અમરતભાઇ ના પરીવારમાં તેમના ૯૦ વર્ષીય વૃદ્ધમાં  તેમજ ચાર ભાઇ છે. પોતે અપરણિત હોવાથી અમરતભાઇ પોતાના ભાઇઓ સાથે રહેતા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે અમરતભાઇ ના ભાઇઓને બ્રેઇન ડેડ બાદ અંગદાન વિશે સમજાવતા બધા ભાઇઓ { પ્રવિણભાઇ, ચંદ્રકાંતભાઇ, અશોક્ભાઇ, મનુભાઇ } એ  સાથે મળી અમરતભાઈ નાં અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો. અમરતભાઈ ના અંગદાન થકી બે કીડની, એક લીવર તેમજ સ્કીનનું  દાન મળ્યુ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, અમરતભાઈ ના અંગદાનથી  મળેલ કિડની તેમજ લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમા દાખલ જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે . સિવિલ પ્લાસ્ટીક સર્જરી વિભાગ અંતર્ગત આવેલ સ્કીન બેંક ને મળેલા સ્કીન દાન થી પણ દાઝેલા કે અન્ય જરુરીયાતમંદ દર્દીમાં સ્કીન પ્રત્યારોપણ કરી કુલ ચાર લોકો ની જીંદગી આપણે બચાવી શકીશુ.

સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫૪ અંગદાતાઓ થકી કુલ ૪૯૭ અંગો તેમજ ત્રણ સ્કીન નું દાન મળેલ છે. જેના થકી ૪૮૧ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.