Rajkot : ધોરાજીના જુના ઉપલેટા રોડ પર અજાણ્યા કાર ચાલક દ્વારા રસ્તા પર ગાડી ઉભી રાખી અને શંકાસ્પદ રીતે થેલીનો ઘા કરવામાં આવ્યો હતો જે સ્થાનિક વિસ્તારના લોકોએ નજરે નિહાળતા પોલીસને જાણ કરી હતી. ધોરાજી પોલીસ અને મેડિકલ વિભાગની ટીમે પ્લાસ્ટિકની થેલીની તપાસ કરતા તેમાંથી બાળકનું ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

આ મામલે ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમ અને પોલીસ સ્ટાફ દ્વારા સ્થાનિક લોકોને પૂછપરછ કરતા તેમણે જીજે-૧૨ સિલ્વર કલરની કાર હોવાનું જણાવતા ધોરાજી શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના આધારે ધોરાજી પોલીસે તપાસ કરતા ગાડીની ઓળખ મળી જવા પામી હતી અને ત્યારબાદ ગાડી માલિક અને આરોપીઓની ભાળ મળવા પામી હતી.

કચ્છના ગાંધીધામ ખાતે રહેતા ચંદ્રકાંતભાઈ ગોહેલે ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમનાં પુત્ર અમિત ચંદ્રકાંતભાઈ ગોહેલ અને તેમના ધર્મપત્ની ડેઝી અમિત ગોહેલ તેમજ તેમના ધોરાજી ખાતે રહેતા તેમના વેવાણ સ્મિતાબેન નગીનભાઈ ગોહેલ અને ધોરાજીના તબીબ ડોક્ટર સી.ટી. ફળદુ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

તેમણે પોલીસને જણાવેલ કે ડોક્ટર સી.ટી. ફળદુએ ઓપરેશન કરી આપ્યું હતું. ધોરાજી ખાતે ભ્રૂણ હત્યાના બનાવમાં પોલીસે કલાકોની અંદર સમગ્ર ભેદ ઉકેલ નાખ્યો હતો અને ધોરાજીમાં નામાંકિત ગણાતા ડોક્ટરની હોસ્પિટલમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ઉઘાડી પડી હતી.

આ પણ વાંચો..