ચૂંટણી પંચે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના વડા કે.ચંદ્રશેખર રાવ સામે કાર્યવાહી કરી છે. કોંગ્રેસની ફરિયાદની નોંધ લેતા પંચે કેસીઆરને નોટિસ પાઠવી છે. જેમાં કેસીઆરને લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કોંગ્રેસ દ્વારા 6 એપ્રિલે દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, કેસીઆરે કોંગ્રેસ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદ બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ આરોપોની તપાસ કરી ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો હતો. પંચે 16 એપ્રિલે KCRને શો કોઝ નોટિસ જારી કરી હતી.

જો કે, કેસીઆરે આ આરોપોને ફગાવી દીધા હતા અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે તેમના તેલુગુ ભાષણના અંગ્રેજી અનુવાદને અલગ રીતે પ્રસ્તુત કર્યો છે. BRSના વડાએ નોટિસના જવાબમાં ચૂંટણી પંચને કહ્યું હતું કે, “તેલંગાણા અને સરસિલ્લામાં ચૂંટણીના પ્રભારી અધિકારીઓ તેલુગુ લોકો નથી અને તેઓ તેલુગુની સ્થાનિક બોલીને ભાગ્યે જ સમજે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે કે વાક્યોનો અંગ્રેજી અનુવાદ સાચો નથી અને વિકૃત કરવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે, દસ્તાવેજો અને ભાષણ ટ્રાન્સક્રિપ્ટ્સનું વિશ્લેષણ કર્યા પછી, તારણ કાઢ્યું કે કેસીઆરએ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું અને બુધવારે તેમને 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.