Gujarat રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૭૮,૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૩.૩૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨,૬૪, ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં ૨૩,૪૮૬ ક્યુસેક, ઉકાઈમાં ૩૬,૩૦૭ ક્યુસેક, દમણગંગામાં ૭,૦૧૮ ક્યુસેક, કડાણામાં ૬,૬૭૪ ક્યુસેક, પાનમમાં ૬,૬૪૮ ક્યુસેક અને હડફમાં ૫૫૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના ૩૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૮ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૩૬ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૨૯ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૦.૮૮ ટકા, કચ્છના ૨૦માં ૪૯.૯૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૭.૨૯ ટકા, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૪૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.