Vinod Parmar AAP: અમદાવાદ SVP હોસ્પિટલમાં વૃદ્ધાના અપમૃત્યુ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે AAP નેતા વિનોદ પરમાર દ્વારા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. વિનોદ પરમારે જણાવ્યું હતું કે SVP હોસ્પિટલ વારંવાર વિવિધ વિવાદોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. કહેવાય છે કે આ હોસ્પિટલ કોર્પોરેશન સંચાલિત છે, પરંતુ હોસ્પિટલનું ભાવપત્રક જોતા એવું લાગે છે કે આ કોઈ કોર્પોરેટ સંચાલિત હોસ્પિટલ હોય. અગાઉ પણ એક મહિલાને માત્ર ₹33,000નું બિલ ભરવા માટે પૈસા ન હોવાના કારણે તેમનું PMJAY કાર્ડ બંધ હોવાનું બતાવી કડક ઉઘરાણી કરીને પૈસા ભરાવવામાં આવ્યા હતા, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ગંભીર બાબત છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલના ICU વિભાગમાં ઘણી વખત ડૉક્ટર હાજર નથી હોતા અને દર્દીઓની યોગ્ય રીતે દેખરેખ રાખવામાં આવતી નથી. મૃત્યુ પામેલ મહિલા ગીરાબેન સોનીને ખૂબ જ ટાઇટ બાંધવામાં આવતા તેમની આંખના ભાગે નુકસાન થયું હતું. આ અંગે વારંવાર ફરિયાદ કરવા છતાં ત્યાં હાજર ડૉક્ટર દ્વારા દર્દી અને તેમના પરિવારજન સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
AAP દ્વારા માંગ કરવામાં આવી છે કે PMJAY યોજના માટે એપ્રુવલ આવવામાં સમય લાગે ત્યારે તે સમયગાળાનો વધારાનો ચાર્જ લેવામાં આવે છે, તે પણ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિનોદ પરમારે વધુમાં જણાવ્યું હતું કે SC/ST માટેની કેટલીક યોજનાઓ અન્ય સરકારી હોસ્પિટલોમાં માન્ય હોવા છતાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં કેમ અમલમાં નથી તેની સ્પષ્ટતા કરવી જોઈએ. સાથે સાથે લઘુમતી સમાજ માટે PMJAY સિવાય અન્ય કોઈ આરોગ્ય યોજના ઉપલબ્ધ કેમ નથી તે બાબત પણ ગંભીર પ્રશ્ન છે.આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે મૃત્યુ પામેલ ગીરાબેન સોનીને ન્યાય મળે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે ઘણી વખત હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ પણ યોગ્ય રીતે કાર્ય કરતા નથી. હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઘણી વખત જાહેરાત કરવામાં આવે છે કે કોન્ટ્રાક્ટર બદલવામાં આવશે, પરંતુ અંતે એ જ કોન્ટ્રાક્ટરને ચાલુ રાખવામાં આવે છે. આ બાબત શંકાસ્પદ છે અને તેમાં પારદર્શિતાનો અભાવ જોવા મળે છે. તેમણે જણાવ્યું કે હોસ્પિટલોમાં ગરીબ લોકો સારવાર માટે આવે છે, પરંતુ ઘણી વખત વિવિધ ચાર્જ અને પ્રક્રિયાઓને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સરળ અને સસ્તી સારવાર મળે તે માટે સરકાર અને હોસ્પિટલ પ્રશાસને યોગ્ય પગલાં લેવા જોઈએ.





