દલિત સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા અમૃતભાઈ મકવાણા છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગરમાં પાણી અને રોડ રસ્તા મુદ્દે લડત ચલાવી રહ્યા છે અને થોડા દિવસ પહેલા ત્યારે તેમણે ભાજપ સરકારના મંત્રી મુળુભાઈ બેરા સમક્ષ હાથ જોડીને એક કાર્યક્રમમાં રજૂઆત કરી હતી તો રજૂઆત સાંભળવાની જગ્યાએ તેમને પોલીસે પકડીને બહાર કાઢી મૂક્યા અને ગઈકાલે તેમના પર પોલીસ ફરિયાદ(FIR) દાખલ કરવામાં આવી. આજે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી Gopal Italia અને કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડા સહિત આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિશાળ સંખ્યામાં સુરેન્દ્રનગરના સ્થાનિક લોકો અમૃતભાઈ મકવાણાના સમર્થનમાં પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા Gopal Italiaએ અમૃતભાઈ મકવાણાના સમર્થનમાં લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, દલિત સમાજના આગેવાન અમૃતભાઈ મકવાણા પોતે એક શિક્ષક છે અને પાણીના મુદ્દે તેમણે રજૂઆત કરી હતી અને પાણી માંગવા બદલ તેમના પર એફઆઇઆર કરવામાં આવી છે. પાણી માંગવું એ જનતાનો અધિકાર છે, પાણી આપવું એ ભાજપની ફરજ છે. અમે જોઈ રહ્યા છીએ કે SDMએ ભાજપની દલાલી કરી છે. અમે ભાજપની જેલથી કે ભાજપની ખોટી એફઆઈઆરથી ડરતા નથી. દલિત સમાજના લોકોએ વર્ષો સુધી શોષણ અને અન્યાય સહન કર્યો. દલિત સમાજના લોકોને ભૂતકાળમાં કુવામાંથી પાણી નતા લેવા દેવામાં આવતા. પરંતુ આજે લોકતંત્રના કારણે દલિત સમાજ આગળ આવ્યો અને ત્યારે આજે અમૃતભાઈએ પાણી માંગ્યું તો તેમને પાણી આપવાની જગ્યાએ જૂની માનસિકતા ધરાવનાર ભાજપના લોકોએ તેમના સાથે અન્યાય કર્યો. SDMએ તો ભાજપની દલાલી કરીને બે ફાઈલો પાસ કરી દીધી પરંતુ બી ડિવિઝનના પોલીસ અધિકારીઓએ કઈ રીતે એક પાણી માંગનાર વ્યક્તિ સામે એફઆઇઆર કરી? અત્યારે ખોટી FIR કરીને જે પણ લોકો પૈસા બનાવશે તે તમામ લોકોને અમારી સરકાર આવ્યા બાદ જેલમાં મોકલવામાં આવશે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગઈકાલે જ્યારે અમૃતભાઈ મકવાણા પર ફરિયાદ દાખલ કરવામાં આવી, ત્યારે લોકો વિચારતા હશે કે તેઓ એકલા છે પરંતુ આજે સુરેન્દ્રનગરની જનતાએ મોટી સંખ્યામાં અમૃતભાઈના સમર્થનમાં આવીને સાબિત કરી દીધું કે અમૃતભાઈ મકવાણા એકલા નથી. આજે તમામ સમાજના આગેવાનો, તમામ પાર્ટીના આગેવાનો અને આમ આદમી પાર્ટીની સમગ્ર પ્રદેશની ટીમ અને હજારો લાખો કાર્યકર્તાઓ અમૃતભાઈ મકવાણાની સાથે છે. ભાજપ કે તેના ચાપલુસી કરનારા અધિકારીઓની તાકાત નથી કે તેઓ કોઈનો અવાજ દબાવી શકે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી ગંભીર છે તે આપણે જાણીએ છીએ. આજે ભાજપના નેતાઓને સારા લગાડવા માટે કેટલાક લોકોએ અમૃતભાઈ પર ખોટી FIR કરી છે. પાણીના મુદ્દે સ્વચ્છતાના મુદ્દે અને રોડ વ્યવસ્થાના મુદ્દે આજે સુરેન્દ્રનગરની જનતા પીડાઈ રહી છે. જો પાણી માંગવા માટે ગુનો દાખલ થતો હોય તો આજે અહીંયા હાજર તમામ લોકો આ ગુનો કરવા માટે તૈયાર છે. આજે અમે ફરીથી માંગણી કરીએ છીએ કે પ્રાથમિક સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરાવો, પાણીની સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરાવો અને ઘરે ઘરે સુધી ગટરની વ્યવસ્થાઓ કરાવો અને ખોટી એફઆઇઆર કરવાની જગ્યાએ લોકોને સુવિધા આપો.