Dengue: સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જુલાઇથી ઓકટોબર માસ દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ખૂબ વધારો જોવા મળે છે, જેથી દર વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે દેશભરમાં જુલાઇ માસ ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૬ મે, ૨૦૨૫ના રોજ ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’ “Check, Clean, Cover: Steps to defeat Dengue” ની થીમ સાથે સમગ્ર દેશમાં મનાવવામાં આવ્યો હતો. રાજ્યમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા તેમજ ડેન્ગ્યુ અને તેનાથી થતા મૃત્યુ ઘટાડવામાં નાગરિકોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય તે માટે એક ઝુંબેશ સ્વરૂપે અલગ અલગ પ્રવૃતિઓ રાજ્ય, જિલ્લા, કોર્પોરેશન તેમજ શહેરી અને ગ્રામીણ કક્ષાએ હાથ ધરવામાં આવી રહી છે.

રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા તેમજ વાહકજન્ય રોગના અસરકારક નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસમાં રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ‘હાઉસ ટુ હાઉસ’ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. 

આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં કુલ ૨૦ હજાર કરતાં વધુ આરોગ્ય ટીમો દ્વારા ૧.૪૮ કરોડ કરતાં વધુ ઘરોની પ્રત્યક્ષ તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ૧.૭૫ લાખ જેટલા ઘરોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા, જેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં ૫.૧૧ કરોડ કરતાં વધુ જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિના સ્થાનો જણાતા તેમનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન અંદાજે ૩.૬૩ લાખ કરતાં વધુ તાવના દર્દીઓ મળી આવતાં તેમના લોહીના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત મચ્છર ઉત્પત્તિ ન થાય તથા મચ્છરજન્ય રોગોથી કેવી રીતે બચવું તેના માટે પૂરતી સમજ નાગરિકોને આપવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી થકી આ વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડેન્ગ્યુ એ અર્બોવાયરસથી થતો અને એડીસ ઇજિપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. દિવસ દરમિયાન કરડતો આ મચ્છર એક ચમચી જેટલા સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં પણ ઇંડા મૂકી શકે છે. તેથી ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહના તમામ પાત્રોની નિયમિત સફાઇ કરવી જોઈએ તેમજ પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા જોઈએ. આ ઉપરાંત ઘર, અગાસી અને ઘરની આસપાસ પડી રહેલા નકામા ખાલી પાત્રો, ભંગાર, ટાયર, નાળિયેરની કાચલી વગેરેનો સત્વરે નાશ કરવો જોઈએ. 

વધુમાં, મચ્છરોના ડંખથી બચવા આખી બાંયનાં કપડાં પહેરવાં તથા શરીરના ખુલ્લા ભાગ પર મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરવો, સુતી વખતે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો, બારી બારણામાં મચ્છરજાળી લગાવવી તેમજ સખત તાવ, આંખોના ડોળાની પાછળ દુખાવો, સ્નાયુ-સાંધાનો દુખાવો અને શરીર પર ચકામા કે ઓરી જેવા દાણા દેખાય તો તુરંત નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી, જેથી ડૉક્ટરના માર્ગદર્શન વગર દવાઓ લેવી નહીં તેમજ આવા દર્દીએ સારવાર માટે એસ્પિરિન દવાનો ઉપયોગ કરવો નહીં. આ ઉપરાંત તાવ દરમિયાન પુષ્કળ પ્રવાહી લેવા તેમજ સંપૂર્ણ આરામ કરવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવ્યું છે.