મોરબીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે પોઈચામાં 8 લોકો ડૂબ્યા હોવાની ઘટના બાદ હવે મોરબીની મચ્છુ નદીમાં એક સાથે સાત લોકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. 6 સગીર અને એક યુવાન મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં મોરબીની મચ્છુ નદીમાં બે સગીર સહિત એક યુવાન ડૂબ્યો છે. એકને બચાવવા જતા બે સગીર પણ ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, નદીમાં પગ લપસી જતા પહેલા એક યુવક તણાયો હતો જેને બચાવવા જતા અન્ય સગીરો પણ તેની પાછળ ગયા હતા અને તે લોકો ડૂબવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડે સ્થાનિકોની મદદથી ચાર સગીરને બચાવી લેવાયા હતા. જ્યારે ત્રણ લોકો પાણીમાં ગૂમ છે. ફાયર બ્રિગેડની ટીમે અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે. આ લોકો વોટર પાર્કમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. પરંતુ આ લોકો નદીમાં નાહવા પડ્યા હતા. ત્યારે આ કિસ્સો વાલીઓ માટે પણ ચેતવણીરૂપ બન્યો છે.

મંગળવારે નર્મદા નદીમાં ગોઝારો બનાવ બન્યો હતો. સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલી ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 17 લોકો પોઈચા નર્મદા નદી કિનારે નહાવા આવ્યા હતા. મંગળવારે બપોરે 12 કલાકે ભરતભાઈ બલદાણીયા સહિત બીજા 9 વ્યક્તિ નર્મદામાં ન્હાવા ગયા હતા. પરિવારના સભ્યો ન્હાવાની મજા માણતા હતા ત્યારે ઉંડાણવાળી જગ્યાએ નવ સભ્યો અચાનક જ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. જેથી કાંઠે બેઠેલા પરિવારજનોએ બુમાબુમ કરી હતી. સ્થાનિક તરવૈયાઓએ બે વ્યક્તિને બચાવી લેવાયા હતા. આજે બુધવારે સવારે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. હજી છ લોકોના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે.

ડૂબેલા વ્યક્તિઓમાં વરસલાહ મેવાભાઈ બલદાણીયા. (ઉ.વ. 45), આર્નવ ભરતભાઈ બલદાણીયા (ઉ.વ. 12), મૈત્રક્ષ ભરતભાઈ બલદાણીયા (ઉ.વ .15), વ્રજ હિંમતભાઈ બલદાણીયા (ઉ.વ.11), આર્યન રાજુભાઈ જીનીવા (ઉ.વ.7), ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉ.વ. 15), ભાવિક વલ્લભ ભાઈ હડીયા (ઉ.વ. 15)નો સમાવેશ થાય છે. જ્યારે મગનભાઈ નાનાભાઈ જીંજાળા અને કુસ્કી મગનભાઈ જીંજાળાનો બચાવ થયો છે.