પોઇચા ગામની નર્મદા નદીમાં ન્હાવા આવેલા સુરતના પરિવાર સાથે મંગળવારે ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. મંગળવારે નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના ચાર સભ્યો સહિત 9 લોકો અચાનક જ ડૂબવા લાગ્યા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં 2 વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં NDRFની ટીમની સતત ત્રીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે. અત્યાર સુધી રેસ્ક્યૂ ટીમને ડૂબેલા સાત લોકોમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય 3 લોકોની તપાસ ચાલી રહી છે.

આ ઘટનાને આજે ત્રીજો દિવસ થઇ ગયો છે. એનડીઆરએફની વિવિધ ટીમો આ ત્રણ દિવસથી આ ડૂબેલા લોકોને શોધી રહ્યા છે. આજે 15 વર્ષીય મૈત્ર ભરતભાઈ બલદાનિયાનો મૃતદેહ મળી આવ્યો છે. આ પહેલા અન્ય ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલી ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 17 લોકો પોઈચા નર્મદા નદી કિનારે નહાવા આવ્યા હતા.

ડૂબેલા વ્યક્તિઓમાં વરસલાહ મેવાભાઈ બલદાણીયા. (ઉ.વ. 45), આર્નવ ભરતભાઈ બલદાણીયા (ઉ.વ. 12), મૈત્રક્ષ ભરતભાઈ બલદાણીયા (ઉ.વ .15), વ્રજ હિંમતભાઈ બલદાણીયા (ઉ.વ.11), આર્યન રાજુભાઈ જીનીવા (ઉ.વ.7), ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉ.વ. 15), ભાવિક વલ્લભ ભાઈ હડીયા (ઉ.વ. 15)નો સમાવેશ થાય છે. જ્યારે મગનભાઈ નાનાભાઈ જીંજાળા અને કુસ્કી મગનભાઈ જીંજાળાનો બચાવ થયો છે.

ઉલ્લેખનીય છે કે કેટલાક લોકો પોતાના વાહનમાં પોઇચા આવ્યા હતા. જ્યાં પરિવારના કેટલાક લોકો કિનારે બેઠા હતા અને 8 જેટલા લોકો નર્મદા નદીમાં નાહવા ગયા હતા. આ દરમિયાન નર્મદા નદીના વહેણમાં ત્રણ બાળકો સહિત આઠ લોકો ડૂબ્યા હતા. આ લોકોના ડૂબ્યાની જાણ થતા સ્થાનિક નાવિકોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.