PM: કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીએ વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુ સાથે ‘જળસંચય જનભાગીદારી યોજના’નો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવતા જણાવ્યું કે, જળ સંરક્ષણ એ માત્ર નીતિઓનો વિષય નથી પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે. આવનારી પેઢીઓ આપણા તરફ સન્માનની નજરે જુએ, આદર સાથે યાદ કરે એ માટે ભૂગર્ભમાં મહત્તમ જળસંચય થવું જરૂરી છે. જળસંચયની યોજના જળસ્રોતોના રક્ષણ જ નહીં, ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે. એટલે જ સરકાર જળ સંરક્ષણ દ્વારા જળ સુરક્ષાને નવી તાકાત આપવા સંકલ્પબદ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટિલ સહિત મંત્રીશ્રીઓ વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું કે,  જન જન સુધી પાણી પહોંચાડવા માટે વર્ષોથી ગુજરાતમાં સાર્થક અને પરિણામલક્ષી પ્રયાસો થયા છે, જે સદર્ભે નર્મદા ડેમની પૂર્ણતા, સૌની યોજના, સુજલામ સુફલામ જળ અભિયાનનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ આ પ્રકારના અનેકવિધ પ્રોજેક્ટ્સના કારણે ગુજરાત જળસંરક્ષણ અને જળવ્યવસ્થાપના ક્ષેત્રે દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે એમ જણાવ્યું હતું. 

જાગૃત જનમાનસ, જનભાગીદારી અને જનઆંદોલન એ જળસંચય અભિયાનની સૌથી મોટી શક્તિ છે, ત્યારે દેશમાં જનભાગીદારીથી ૬૦ હજાર અમૃત સરોવરોનું નિર્માણ થયું છે એમ જણાવતા વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં નિર્માણ પામેલા ૨૬૦૦ થી વધુ અમૃત સરોવરો બદલ રાજ્યની જનતાની જલસંચયની કામગીરીમાં જનભાગીદારીને બિરદાવી હતી. જળસંચય જનભાગીદારી યોજનાનો મુખ્ય આશય ગુજરાતભરમાં ૨૪,૮૦૦ જળસંચય સ્ટ્રક્ચર ઉભા કરવાનો છે, જે સફળ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરી તેમણે પરંપરાગત જળસ્રોતોના નવીનીકરણની સાથે સાથે નવા જળસ્રોતોનું પણ નિર્માણ થાય એના પર ભાર મૂક્યો હતો.

જળસંચય એ માત્ર એક પોલિસી જ નથી, એક પૂણ્યકાર્ય છે, જેમાં ઉદારતાની સાથે ઉત્તરદાયિત્વ પણ સામેલ છે એમ સ્પષ્ટપણે જણાવતા વડાપ્રધાનએ ઉમેર્યું કે, ભારતમાં લોકભાગીદારી અને જનઆંદોલન દ્વારા જળ સંરક્ષણ અને પ્રકૃતિ સંરક્ષણ માટે એક અનોખું અભિયાન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે ટકાઉ ભવિષ્ય માટે જે ૯ ઠરાવો રજૂ કર્યા છે તેમાં જળ સંરક્ષણ એ પહેલો ઠરાવ છે. સંજોગોને કારણે ભૂગર્ભ જળસંગ્રહ તેમજ જળ વ્યવસ્થાપનનું આ કામ અમારી પાસે આવ્યું નથી, પરંતુ સરકારે આ પડકારજનક કાર્યને જવાબદારી સમજીને કેચ ધ રેઇન, અટલ ભૂજલ યોજના, નમામિ ગંગે જેવી યોજનાઓ-પહેલોથી જળસંચય-વ્યવસ્થાપનને વ્યાપક બનાવ્યું છે, જેના સારા પરિણામો મળી રહ્યા છે.  

જળ સંરક્ષણ, પ્રકૃતિ સંરક્ષણ એ ભારતની સાંસ્કૃતિક ચેતનાનો એક ભાગ છે એમ જણાવી વડાપ્રધાનશ્રીએ વૃક્ષો ભૂગર્ભ જળને ઊંચા લાવવામાં અતિ ઉપયોગી હોવાથી ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરી આપણી જનેતા અને પ્રકૃતિમાતા પ્રત્યે વાત્સલ્ય પ્રગટ કરવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે ભૂગર્ભ જળનું સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગોની સામૂહિક શક્તિથી ભાવિ પેઢીને જલસંરક્ષણથી સમૃદ્ધ જળવારસો આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. ‘જળસંચય જનભાગીદારી યોજના’ પર્યાવરણ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન તરફ એક મહત્વપૂર્ણ પહેલ, જે ગુજરાત માં જળ પુરવઠા, જળ વ્યવસ્થાપન અને જળસંચયની કામગીરી થકી દેશને દિશા ચીંધશે. 

મુખ્યમંત્રીએ ગુજરાતમાં ૨૪૭૫ લક્ષ્યની સામે ૨૬૪૯ અમૃત સરોવરો નિર્માણ કર્યા હોવાનું જણાવી ઉમેર્યું કે, વરસાદના પાણીનો સદુપયોગ કરવાની વડાપ્રધાનની પ્રેરણાથી ખેત તલાવડી, ચેકડેમ, સુજલામ્-સુફલામ્ જળ અભિયાનના પરિણામે છેલ્લા સાત વર્ષમાં રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં ૧૧ હજાર લાખ ઘન ફૂટનો વધારો થયો છે. 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ભારત હવે વડાપ્રધાનના ફ્યુચરિસ્ટીક વિઝનને અનુરૂપ સેમિકંડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત હંમેશા સમયથી એક ડગલું આગળ વિચારે છે. આજે ભારત સમગ્ર વિશ્વની પાંચમી ઈકોનોમી બની ચૂક્યું છે. 

ગુજરાતના વિકાસનો પાયો વડાપ્રધાનએ જળશકિત, જનશકિત, ઉર્જાશકિત, જ્ઞાનશકિત અને રક્ષાશકિતના વિઝન સાથે નાખ્યો છે એમ ગર્વથી જણાવી તેમણે કહ્યું કે, ગુજરાત એ વિકાસનું રોલ મોડેલ બન્યું છે. દેશના પાંચ સેમિકંડકટર પ્લાન્ટ પૈકી ચાર પ્લાન્ટ  ગુજરાતમાં બની રહ્યા છે. જેના કારણે ગુજરાત આગામી સમયમાં સેમિકંડકટરનું હબ બનશે. 

ઔદ્યોગિક અને આર્થિક વિકાસ પરિણામે મેન્યુફેક્ચરીંગ, સર્વિસ અને એગ્રીકલ્ચર ત્રણેય ક્ષેત્રોમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. પર્યાવરણ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા માટે મિશન લાઈફનો સંદેશો પણ આપ્યો છે. ‘એક પેડ મા કે નામ’ અભિયાન થકી ગ્રીન કવર વધારીને ગ્રીનગોથ સાકાર કરવાની દિશા વડાપ્રધાને આપી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. 

કુદરત તરફથી મળતા ભેટસ્વરૂપ વરસાદી પાણીનો યોગ્ય પદ્ધતિથી સંગ્રહ કરી તેને ભૂગર્ભમાં ઉતારી માવજત કરવામાં આવે તો જળસંકટનો પ્રશ્ન હલ કરી શકાય તેમ છે, ત્યારે વડોદરા દેશનો એક માત્ર એવો જિલ્લો છે, જેની તમામ શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્લાન્ટ ઉપલબ્ધ છે એનો સહર્ષ ઉલ્લેખ કર્યો હતો.

પાણી વિના કોઈ રાજ્ય કે રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી, જે સંદર્ભે ગુજરાતે પહેલ કરી સમગ્ર રાજ્યમાં ૨૪,૮૦૦ જેટલા વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રક્ચર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે તેના થકી ‘વરસાદી જળના સંગ્રહ, જળ સંસાધનોના સંરક્ષણ અને સ્થાનિક જળની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો ‘જળ સંચય, જનભાગીદારી’ યોજનાનો મુખ્ય ઉદ્દેશ હોવાનું તેમણે જણાવ્યું હતું. સુરત સહિતના દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લાઓએ ૧૦,૦૦૦ જેટલા બોરવેલ રિચાર્જના કાર્ય પુર્ણ કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. 

આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટિલે જણાવ્યું કે, પાણીની વૈશ્વિક સમસ્યા નિવારવા ‘જળસંચય જનભાગીદારી અભિયાન’ એક નવી રાહ ચીંધશે. ગુજરાત વિકાસ મોડેલ તરીકે પ્રખ્યાત છે, ત્યારે આગામી દિવસોમાં જળ સંચયમાં પણ દેશનું મોડેલ બનશે. જળસંચય અભિયાન હેઠળ બોર રિચાર્જ, કુવા રિચાર્જ અને રિચાર્જ પીટ હેઠળના રેઈન વોટર હાર્વેસ્ટિંગના ૨૪૮૦૦થી કામો હાથ ધરાશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ૧૦૦ એમ એમ વરસાદ પડે તો પણ ૧૪/૪૫ ના મકાન દ્વારા એક લાખ લીટર પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય છે. દરેક પદાધિકારીઓને પોતાના ઘરથી જળસંચયના અભિયાનની શરૂઆત કરવાની અપીલ મંત્રીશ્રીએ કરી હતી. 

મંત્રીશ્રીએ જળસંચય અભિયાન હેઠળ પાણીરૂપી પારસમણિને સંગ્રહ કરવાની યોજનાનો પ્રારંભ સુરત જિલ્લામાંથી થઇ રહ્યો છે, જે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મોટુ જનઅભિયાન બનશે એમ જણાવી ‘જળસંચય અને જનભાગીદારી’ હેઠળ જિલ્લાના બિનઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી ફરી તે જ પાણીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. આ કાર્યમાં સુમુલ ડેરી પણ ૧૨૦૦ બોર રિચાર્જ કરીને અભિયાનમાં જોડાશે. આ ઉપરાંત કડોદરાની ઈન્ડસ્ટ્રીઝ પણ મોટી સંખ્યામાં રિચાર્જિગના કાર્યમાં જોડાશે તેનો પણ મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.

વિકસિત ભારતના નિર્માણમાં પાણીની સમસ્યા બાધારૂપ નહીં બને એવો વિશ્વાસ આપણે સૌએ જળ સંચય યોજનાને દેશભરમાં લાગુ કરીને અપાવવાનો છે એમ જણાવી શ્રી પાટીલે ઉમેર્યું કે, ‘જનશક્તિથી જળશક્તિ’ ને સફળ બનાવવા સંકલ્પ લઈએ. સામૂહિક કામગીરીથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવીશું તો આવનારી પેઢીના આપણે ઋણી બનીશું. 

આ પ્રસંગે પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, એક સમયે ગુજરાતમાં પાણીની ભારે અછત વર્તાતી હતી, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ પાણીદાર ગુજરાતની વિકાસયાત્રા શરૂ કરી હતી. જેના કારણે ગુજરાત તબક્કાવાર સમૃધ્ધિ તરફ આગેકૂચ કરી રહ્યું છે. પાણીનો વિવેકપુર્ણ ઉપયોગ, ટપક સિંચાઈ પધ્ધતિ, ખેત તલાવડીઓના નિર્માણ જેવા અનેક આયામો અપનાવીને ગુજરાતે પાણીનું સુદઢ અમલીકરણ કર્યું છે. જળસિંચન, જળસંચયના પરિણામે ગુજરાતમાં જળક્રાંતિનું જન આંદોલન સાકાર થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. 

કાર્યક્રમના પ્રારંભે જલશક્તિ મંત્રાલયના OSD શ્રી અશોક મીણાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને જળ સંચય જનભાગીદારી યોજનાની રૂપરેખા સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે, પાણીના સંરક્ષણની સાથે સમાજની ભાગીદારી રહેલી છે. જલજીવન મિશન હેઠળ ૧૫ કરોડ લોકો સુધી જલથી નલ પહોચાડવાનું કાર્ય થયું છે. ગુજરાતમાં ૫૮૫ પાણીની યોજનાઓ પુર્ણ થઈ ચુકી છે. એક એક ટીપાનો સંગ્રહ કરવાના ગુજરાતનું જળસંચય જનભાગીદારીનું અભિયાન સમગ્ર દેશને નવી દિશા બતાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે સુરત શહેરમાં મહાનિગરપાલિકા દ્વારા થઈ રહેલી વોટર રિચાર્જ કામગીરી, જળ સંચયના પ્રકલ્પો અને ભાવિ આયોજન વિષે સ્વાગત પ્રવચનમાં વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, સુરતએ મિની ભારત છે. સુરતે ૨૦૪૭માં પાણીની જરૂરીયાતને અનુલક્ષીને વોટર મેનેજમેન્ટનું આયોજન કર્યું છે. મહાનગરપાલિકા ગંદા પાણીને રિયુઝ કરીને વર્ષ દહાડે ૧૪૦ કરોડની આવક મેળવે છે આગામી સમયમાં વધુ પાણીને રીયુઝ કરીને આવક મેળવશે. ભૂગર્ભ જળનું સ્તર ઉંચુ આવે તે હેતુથી શહેરના શહેરીજનોને પ્રોત્સાહિત કરી રાજ્ય સરકારની જન સંચય જનભાગીદારી યોજના હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ખાનગી સોસાયટીઓમાં ગ્રાઉન્ડ વોટર  રિચાર્જ  સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવશે. જળસંચય અભિયાન હેઠળ મહાનગરપાલિકા પુલો પરના વરસાદી પાણીને પણ ભૂગર્ભમાં ઉતરાવા માટેનું આયોજન કર્યું હોવાનું ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયની NAQUIM યોજના હેઠળ ગુજરાતમાં ડિજિટલ વોટર લેવલ રેકોર્ડરની સાથે પીઝો મીટર અને સંશોધનાત્મક કૂવાઓના બાંધકામ કાર્યનો ઈ-શુભારંભ કરાવ્યો હતો.

આ વેળાએ જળ શક્તિ મંત્રાલયની NAQUIM યોજના તેમજ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ સુધીની કેચ ધ રેઈન કેમ્પેઇનની બે લઘુ વિડીઓ ફિલ્મોનું નિદર્શન કરાયું હતું. 

વિશેષમાં, સમગ્ર ભારતના ૭૦૦ જેટલા જિલ્લાઓના કલેકટરશ્રીઓ વર્ચ્યુલી આ કાર્યક્રમમાં જોડાયા હતા. 

આ પ્રસંગે કેન્દ્રીય ખાદ્ય, ગ્રાહક બાબતો, જાહેર વિતરણ વ્યવસ્થા રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, નાણાં તથા ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઈ, જળસંપતિ અને પાણી પૂરવઠા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, ધવલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિની પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, સુરત સહિત દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના પ્રમુખો, વિવિધ જિલ્લાઓના કલેકટર્સ, જિલ્લાવિકાસ અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.