Gopal Italia: વિસાવદરમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સુરત પહોંચ્યા હતા. ત્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને આવકારવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો, પ્રદેશના હોદ્દેદારો, સ્થાનિક પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો એકઠા થયા હતા. આ તમામ લોકોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું અને એક વિજય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના સન્માનમાં અને વિસાવદરના લોકોનો આભાર વ્યક્ત કરવા માટે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Gopal Italia ની સાથે સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરા, શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા, પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, કામરેજ તા.પં.વિપક્ષ નેતા જે.ડી.કથિરીયા, સુરત મનપાના કોર્પોરેટરોમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા, મહેશ અણઘણ, રચનાબેન હીરપરા, વિપુલ સુહાગીયા, મનીષાબેન કુકડીયા, કુંદનબેન કોઠિયા, સેજલબેન માલવિયા, જીતુ કાછડીયા, ડૉ.કિશોર રૂપારેલિયા, શોભનાબેન કેવડિયા, દિપ્તીબેન સાકરિયા, સોનલબેન સુહાગીયા, પ્રદેશ મંત્રી સુરેશ માલવિયા, સુરત શહેર મહામંત્રી તુલસી લાલૈયા, ઘનશ્યામ વાઘાણી, યુવા મોરચા પ્રમુખ પંકજ ધામેલીયા, મહિલા મોરચા પ્રમુખ નીતાબેન પટેલ, જયસુખભાઈ પાઘડાળ,સહિત સોશિયલ મીડિયા ટીમ અને પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મતવિસ્તારના લોકોએ મારા જેવા સામાન્ય ઘરના વ્યક્તિનું માન વધારવાનું કામ કર્યું છે. મારા જેવા નાના વ્યક્તિ અને એક નાની પાર્ટીને વિસાવદરના મતદાતાઓએ આશીર્વાદ આપીને ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ આખા દેશમાં ચમકવાનો એક મોકો આપ્યો છે. માટે હું વિસાવદરના તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું. 2022ની ચૂંટણીમાં આપણે તમામ લોકોને એવું લાગતું હતું કે કંઈ ચોંકાવનારા પરિણામો આવશે અને ગુજરાતમાં બદલાવ આવશે પરંતુ ધાર્યા પરિણામો આવ્યા નહીં, જેના કારણે થોડી નિરાશા છવાઈ ગઈ તેમ છતાં પણ જે લોકોએ આપણો સાથ ન છોડ્યો અને હંમેશા આમ આદમી પાર્ટીને આગળ વધારવાનું કામ કર્યું, તે તમામ લોકોને યાદ રાખીને આજે આપણે વિસાવદરની જીતની ઉજવણી શરૂ કરીશું. કારણકે એ સમયે જો આપણે હાર ન પચાવી શક્યા હોત તો આપણે હાલ આ ઉજવણી પણ ન કરી શકતા હોત. એ સમયે પાર્ટીમાં ઘણી નિરાશા હતી પરંતુ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા પાર્ટીને સંભાળવાનું કામ કર્યું.

વિસાવદરમાં મળેલી જીત ફક્ત મારા એકલાની જીત નથી પરંતુ આખા ગુજરાતની જીત છે, એટલા માટે ફક્ત હું અને મારા સમર્થકો નહીં પરંતુ આખું ગુજરાત વિસાવદરની જીતને ઉજવી રહ્યું છે. સામાન્ય રીતે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સાંજના સાત વાગ્યા સુધીમાં અથવા રાત સુધીમાં બધી ઉજવણી પતી જતી હોય છે અને બીજા દિવસથી રાબેતા મુજબ કામ શરૂ થઈ જતા હોય છે પરંતુ વિસાવદરની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ગુજરાતની જનતાનો હરખ સમાતો નથી માટે હજુ પણ એક અઠવાડિયા બાદ પણ ચારે બાજુ ઉજવણીઓ ચાલી રહી છે. વિસાવદરના લોકોએ જે દીવો પ્રગટાવ્યો છે તેનો પ્રકાશ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહ્યો છે. કેટલાય લોકો નિરાશ થઈ ગયા હતા અને તેમના સપનાઓ તૂટી ગયા હોય તેવું તેમને લાગતું હતું એ સમયમાં વિસાવદરે ચમત્કાર કરી બતાવ્યો. ગોપાલ ઇટાલીયા તૂટશે નહીં પરંતુ ગોપાલ ઇટાલીયા આખા ભાજપનો ઘમંડ તોડશે તે વાતની ખુશી ગુજરાતના તમામ લોકોને છે.

સી આર પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળ્યા હોય છે કે કયા ધારાસભ્યને તોડું, પરંતુ હવે મારી સી આર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે કે હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો પછી જુઓ શું પરિણામ આવે છે. આ લોકોએ ગુંડાગર્દીની તમામ હદો વટાવી દીધી હતી અને રાજનીતિને તળિયે બેસાડી દીધી. ગાંધી અને સરદારે ગુજરાતનું નામ આખા દુનિયામાં રોશન કર્યું અને એ જ ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે બુટલેગરોના હાથમાં સત્તા આવી ગઈ છે, એ વાતનું મને ખૂબ જ દુઃખ છે. ગાંધીનું ગુજરાત બુટલેગરોના હાથમાં ન હોવું જોઈએ. પરંતુ કોઈ લડે કે ના લડે અને કોઈ બોલે કે ના બોલે પરંતુ ગોપાલ ઇટાલીયા અને આમ આદમી પાર્ટી લડશે-બોલશે અને બુટલેગરોને હટાવીને જનતાનું શાસન ગુજરાતમાં સ્થાપિત કરશે. હું પુરા આત્મવિશ્વાસ સાથે આ વાત કરી રહ્યો છું કારણ કે વિસાવદરની ચૂંટણીમાં એક બાજુ સત્તાનું બળ, ભાજપની આખી સરકાર, ભાજપના મંત્રીઓ, ભાજપના ધારાસભ્યો, ભાજપના ચેરમેનો, ભાજપના બુટલેગરો, ભાજપના જમીન માફિયાઓ, ભાજપના ગુંડાઓ, ભાજપના બળાત્કારીઓ બધા ભેગા થઈને એક તરફ હતા અને બીજી બાજુ આમ જનતાનું મનોબળ હતું અને આ બંનેમાં ભીષણ યુદ્ધ થયું અને જનતાના મનોબળની જીત થઈ એ વાતની ખુશી આજે આખા ગુજરાતમાં છે.

હાલ સુરતમાં ખાડી પુર આવ્યું છે. વિચાર કરો કે આજે ચંદ્ર ઉપર અને મંગળ પર જવાનો રસ્તો છે પરંતુ સુરતમાં પૂરના પાણી કાઢવાનો કોઈ રસ્તો નથી. આજના શાસકો લાયકાત વગરના શાસકો છે, અને આ લોકોને કોણે બેસાડ્યા છે તે સવાલ આપણે કરવો જોઈએ. આપણી આત્માને હવે જગાડવાની જરૂર છે. આ પહેલા વડોદરામાં પૂર આવ્યું હતું, જૂનાગઢમાં પૂર આવ્યું હતું, અંકલેશ્વરમાં પૂર આવ્યું હતું. આ બધા પૂર ભાજપસર્જિત પુર છે. કારણકે આપણે વોટ આપીને જે લોકોને સત્તામાં બેસાડ્યા તે લોકોને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી. તો હવે આ પરિસ્થિતિ બદલવા માટે જનતાએ મક્કમ મનોબળ રાખીને ભાજપને જાકારો આપવાનો છે. કારણ કે હવે કોઈ પણ પ્રકારની લાચારીમાં જીવન જીવવા કરતા આપણે જાતે ઊભા થઈને આ લાચારીમાંથી બહાર આવવું પડશે.