CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગના નીતિ ફ્રન્ટીયર ટેક હબ દ્વારા તૈયાર કરાયેલા ‘રિ-ઈમેજિંગ એગ્રિકલ્ચર રોડમેપ ફોર ફ્રન્ટીયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મશન’ રોડમેપનું લોંચીંગ કરતાં કહ્યું કે, દેશના એગ્રિકલ્ચર સેક્ટરને ભવિષ્ય માટે તૈયાર કરવાની આ એક મહત્વપૂર્ણ બ્લૂપ્રિન્ટ છે.
CM Bhupendra Patelએ વધુમાં કહ્યું કે, ખેડૂતોના હિતમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગના રાષ્ટ્રીય સ્તરના મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટનું આજે ગુજરાતની ભૂમિ પરથી વિમોચન થયું છે તે રાજ્ય માટે ગૌરવની બાબત છે. એટલું જ નહિ, આ રોડમેપ ટેક્નોલૉજી-ડ્રિવન ડેવલપમેન્ટના માધ્યમથી અન્નદાતાના સપનાઓ સાકાર કરવાનો આધાર બનશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
CM Bhupendra Patelએ જણાવ્યું હતું કે આ રોડમેપમાં ટેકનોલૉજીને માત્ર મશીનરી સુધી સીમિત ન રાખતા ડેટા-કનેક્ટિવિટી અને ઇન્ટેલિજેન્સને ડાયરેક્ટ કૃષિ વ્યવસ્થામાં સંકલિત કરવાનું વિઝન રાખવામાં આવ્યું છે. આ રોડમેપના મુખ્ય દિશાનિર્દેશો, એગ્રિકલ્ચર સેક્ટરમાં ગુજરાતના વિઝન સાથે સંપૂર્ણપણે સુસંગત છે એવો મત પણ મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્યાન – ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિકસિત ભારતના ચાર સ્તંભ ગણાવ્યા છે. આ રોડમેપ તે પૈકીના એક સ્તંભ અન્નદાતાને સમર્પિત છે અને તેમના સશક્તિકરણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે નીતિ આયોગની મહત્વપૂર્ણ પહેલોને સાકાર કરવામાં અગ્રણી ભૂમિકા અદા કરી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, નીતિ આયોગના માર્ગદર્શનમાં દેશમાં જે ચાર ગ્રોથ હબ વિકસાવવામાં આવી રહ્યા છે, તેમાં સુરત ઇકોનૉમિક રીજિયન પણ સામેલ છે. આ રીજિયનના 6 જિલ્લાને ગ્રોથ હબ તરીકે વિકસાવવાની શરૂઆત થઈ ગઈ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, નીતિ આયોગની પેટર્ન પર ગુજરાતે પણ રાજ્ય સ્તરે એક થિંક ટેંક ગુજરાત રાજ્ય ઇન્સ્ટીટ્યૂશન ઑફ ટ્રાન્સફોરમેશન એટલે કે ગ્રિટની સ્થાપના કરી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, ગ્રિટના માધ્યમ ગુજરાતે રાજ્યના 6 આર્થિક પ્રદેશોના વિકાસ માટે તાજેતરમાં જ રીજિયનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન પણ લૉન્ચ કર્યો છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@2047 વિઝનને સાકાર કરવા માટે રાજ્ય સરકારે સશક્ત રોડમેપ વિકસિત ગુજરાત@2047 તૈયાર કર્યો છે, તેમાં પણ નીતિ આયોગના બહુમૂલ્ય સૂચનોએ મહત્વની ભૂમિકા ભજવી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજી અને યાંત્રિકીકરણને વ્યાપક બનાવીને કૃષિ વિકાસ કરવામાં આવ્યો છે તેની પણ ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે ગુજરાતે ભારત સરકારની નીતિઓને અનુરૂપ ક્રૉપ ડાયવર્સિફિકેશન અને સસ્ટેનેબલ એગ્રિકલ્ચરને પ્રોત્સાહન આપ્યું છે. ટેક્નોલૉજી અને મોડર્ન ટૂલ્સની મદદથી ખેતીને વધુ પ્રોડક્ટિવ બનાવવાની દિશામાં અનેક પ્રોત્સાહક પગલાં ભર્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ડિજિટલ એગ્રિકલ્ચરને પ્રોત્સાહન માટે નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન ફૉર એગ્રિકલ્ચર, ડિજિટલ ક્રોપ સર્વે અને ફાર્મર રજિસ્ટ્રી જેવી યોજનાઓનું અમલીકરણ શરૂ કર્યું છે. ડિજિટલ એગ્રિકલ્ચર અંતર્ગત, ખેડૂતોને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળી રહે તે માટે ઑનલાઇન અરજી અને પેમેન્ટ સુવિધા પૂરી પાડવા માટે આઈ-ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ડિજિટલ એગ્રિકલ્ચરને વધુ સફળ બનાવવા માટે ગુજરાતે એક ડેડિકેટેડ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આર્ટિફીશિયલ ઇન્ટેલિજેન્સ ઔર ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવી ટેકનોલૉજીની મદદથી જમીનની ઊપજ ક્ષમતા, પાકમાં થનારા રોગ અને પોષક તત્વો વિશે જાણકારી હવે વઘુ ઝડપથી પ્રાપ્ત થઈ શકશે.
નેક્સ્ટ જનરેશન સીડ્સ, ઇક્વિપમેન્ટ-ટૂલ્સ અને ઇનપુટ્સમાં નવીનતા લાવીને ખેતીમાં પડતર ખર્ચ ઘટાડવા અને પર્યાવરણીય નુકસાનથી બચવા માટેના પ્રયાસો પણ થઈ રહ્યાં છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ અવસરે નીતિ આયોગના સી.ઈ.ઓ. બી.વી.આર. સુબ્રહ્મણ્યમ, નીતિ આયોગના પ્રતિષ્ઠિત સભ્ય દેબ જાની ઘોષ અને પ્રોગ્રામ ડાયરેક્ટર ડૉ. નીલમ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં ગુજરાતની કૃષિ પ્રગતિ અને ટેક્નોલોજિકલ ફાર્મીંગ તથા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.અંજુ શર્મા, તથા A.T.E. ચંદ્ર ફાઉન્ડેશનના કો-ફાઉન્ડર શ્રી અમિત ચંદ્ર તેમજ ઉચ્ચ અધિકારીઓ, આમંત્રીતો આ લોંચીંગ વેળાએ ઉપસ્થિત રહ્યાં હતા.




	
