Nadiad : રાજ્ય સરકાર હસ્તક હાલ નડિયાદના વૈશાલી ગરનાળાને પહોળુ અને ઉંડુ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી વચ્ચે મહાનગરપાલિકા વિઘ્ન બની રહી છે. છેલ્લા ચારેક માસથી વારંવાર ગટરના પાણી ઉભરાઈ આ ગરનાળામાં ઉતરતા, અત્રે કામગીરી કરવામાં ભારે અડચણ થઈ રહી છે.

નડિયાદમાં રાજ્ય સરકાર હસ્તકના GUDC દ્વારા વૈશાલી ગરનાળાને પહોળુ કરવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદની મિરલ ઈન્ફ્રાસ્ટક્ચર એજન્સી દ્વારા છેલ્લા ચાર માસ ઉપરાંતથી કામગીરી ચાલુ છે. આ વચ્ચે કામગીરીની શરૂઆતથી જ મહાનગરપાલિકા ડ્રેનેજ સ્વરૂપે અડચણરૂપ બની રહી છે.

આસપાસના ચારેય તરફના રહેણાંક વિસ્તારના ગટરના પાણી ઉભરાઈ અને જ્યાં ગરનાળાની કામગીરી ચાલુ છે, ત્યાં જ ઉતરી રહ્યા છે. જેના કારણે એજન્સીના માણસોને કામગીરી કરવામાં ભારોભાર સમસ્યા વેઠવાનો વખત આવ્યો છે. લાંબા સમય બાદ આ કામગીરી જ્યારે શરૂ થઈ છે, ત્યારે શરૂઆતથી જ અત્રે ગટરના પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે.

મનપાના અધિકારીઓને વારંવાર તાકીદ કરવા છતાં તેનો કાયમી ઉકેલ આવ્યો નથી અને આ પરીસ્થિતિ સર્જાતા મનપા જેટીંગ મશીનથી પાણી ધકેલવા સિવાય અન્ય કોઈ કામગીરી કરતી નથી. ચોમાસા પહેલા 50 ટકા ઉપરાંત કામગીરી પૂર્ણ કરવા માટે એજન્સી પ્રયત્નશીલ છે, પરંતુ વારંવાર ગટરના પાણી આ વૈશાલી ગરનાળામાં ઉતરતા હોવાથી ત્યાં કામગીરીમાં અડચણ ઉભી થઈ રહી છે.

આ અંગે મનપા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરી અને ગટરના પાણી કાયમી ઉભરાતા બંધ કરાય તેવી તાતી જરૂર છે. તો વળી, વૈશાલી ગરનાળાથી સંતરામ તરફ જતા માર્ગ પર આવેલો પમ્પીંગ સ્ટેશન યોગ્ય સમયે ચાલુ ન કરતા તે તરફથી પણ ગટરના પાણીને ધક્કો વાગી અને પાછુ પડતા ગરનાળાની કામગીરી ચાલુ છે, ત્યાં જ પાણી ઉતરી રહ્યુ છે. જેથી અત્રે પણ યોગ્ય પગલાં લેવાય તેવી જરૂર ઉભી થઈ છે.

આ પણ વાંચો..