Nadiad : નડિયાદમાં આજે સતત બીજા દિવસે સફાઈ કામદારો સહિત કરાર પરના કેટલાક કર્મચારીઓએ હડતાલ યથાવત રાખી હતી. જેના કારણે સોમવાર વહેલી સવારથી મંગળવારની મોડી સાંજ સુધી શહેરના ડમ્પિંગ પોઈન્ટ પર કચરાના ઢગ વાગી ગયા છે. જાહેર માર્ગો પર અનેક સ્થાનોએ કચરાના ઢગ વાગતા નાગરીકો પણ અવઢવમાં મુકાયા છે.

નડિયાદમાં આજે સફાઈ કામદારો સહિત સેનેટરીના અન્ય કરારી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા હતા. અચાનક કર્મચારીઓને કરારમાંથી આઉટસોર્સ એજન્સીમાં જવાનું દબાણ કરાયુ હતુ. તે બાદ કર્મચારીઓએ સોમવારે વહેલી સવારે કમિશ્નર સાથે બેઠક કરી હતી. પરંતુ આ બેઠક પણ નિષ્ફળ રહી હતી.

કમિશ્નર અને બે ડે. કમિશ્નરે કર્મચારીઓને એજન્સીના લાભ દર્શાવવા અનેકો પ્રયાસ કર્યા, પરંતુ કર્મચારીઓએ મૂળ તેમના કરારની શરતોનો ભંગ થયાની વાત પકડી રાખી હતી. હવે આ સંજોગોમાં કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. જેના કારણે શહેરમાં સફાઈનું કામ ઠપ્પ થઈ ગયુ હતુ. છતાં આજે કેટલાક કર્મચારીઓએ નાગરીકોના હિતનો અભિગમ દર્શાવી જાહેર રસ્તા પરનો કચરો વારી એકત્ર કર્યો હતો.

પરંતુ એક પણ કચરાના સ્પોટ પર કચરો ભરવાની કામગીરી કરાઈ નહોતી. જેના કારણે પારસ સર્કલ પાસે, શીતલ ગ્રાઉન્ડ સામે, અર્બન હેલ્થ સેન્ટર-2ની સામે, મંજીપુરા રોડ પર, સ્ટેશન રોડ પર, તો પશ્ચિમમાં પણ અનેક સ્થાને કચરાના ઢગ વાગ્યા હતા. તેમજ દિવસભર પવન ફૂંકાતા આ કચરો તમામ જાહેર માર્ગો પર ઉડીને પડ્યો હતો.

હવે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા નમતુ જોખી અને કર્મચારીઓની વાતને ગ્રાહ્ય રાખી એજન્સીમાં લેવાનો નિર્ણય પરત લેવાય છે કે કેમ? તેની પર સૌની નજર છે. એકતરફ તંત્ર પોતાના નિર્ણય પર અડગ છે તો બીજીતરફ કર્મચારીઓ લડાયક મૂડમાં છે. તેવા સંજોગોમાં હવે આગળ શું થશે, તેની પર સૌ નગરજનોની મીટ મંડરાયેલી રહેશે.

મનપા વહીવટદારને આવેદનપત્ર સુપ્રત કરાયુ

આજે તમામ કરારી સફાઈ કામદારોએ પોતાના અખિલ ભારતીય મજદૂર સંઘ અને અન્ય યુનિયનો અને તેના અગ્રણીઓને સાથે રાખી કલેક્ટર કચેરીએ પહોંચી મનપા વહીવટદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં પણ આ કરારી કર્મચારીઓની નિમણૂકની શરતોનો ભંગ હોય અને કર્મચારીઓને કાયમી કરવાના બદલે એજન્સીમાં લઈ નુકસાન કરવામાં આવતુ હોવા મામલે રજૂઆત કરી યોગ્ય નિર્ણય લેવા માંગણી કરી હતી.

એજન્સીએ તો નગરપાલિકા વખતના પગાર ચુકવવાના બાકી

સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી વિગતો એવી છે કે, આ અગાઉ તત્કાલિન નડિયાદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી મહેસાણાની રાધે એજન્સી થકી ઓફીસ સ્ટાફ, વોટર વર્ક્સ અને અન્ય વિભાગોના સ્ટાફની ભરતી કરાઈ હતી. આ કર્મચારીઓને વર્ષ 2024ના આઠેક મહિના તો 2025ના વર્ષના માર્ચ, એપ્રિલ અને મે મહિનાના પગાર હજુ સુધી બાકી છે. મનપા બની ગયા બાદ એજન્સીને હજુ સુધી પુરતા નાણાં ચુકવાયા નથી. જેથી કર્મચારીઓને માત્ર જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025 એમ બે મહિનાના પગાર ચુકાવાયા છે, હવે કર્મચારીઓ 11 મહિના જેટલો બાકી પગાર મનપા પાસે માંગે તો તંત્ર આ કર્મીઓને એજન્સીના હવાલે કરી દે છે. જ્યારે એજન્સી મનપાએ પુરતા નાણાં ન જમા કરાવ્યા હોવાનું રટણ કરી રહી છે.

આ પણ વાંચો..